તા.24-25નાં 180થી વધુ નિષ્ણાતોની ટીમ 27 અભયારણોમાં જશે
સુરેન્દ્રનગર જિલ્લાની સાથે રાજયમાં ડાંગ, જામનગર, ભાવનગર સહિત કુલ 23 વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને 4 રાષ્ટ્રીય ઉધાનો આવેલા છે. આ કુલ 27 અભ્યારણોમાં શિયાળામાં ખાસ વિદેશથી શિકારી પક્ષીઓ આવતા હોય છે. તેનો સર્વે સૌપ્રથમવાર સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. તા.24 અને 25 જાન્યુઆરીએ 180 થી વધુ પક્ષી નિષ્ણાંતોની ટીમ સેન્ચ્યુરી વિસ્તાર ખુદીને સર્વેની કામગીરી કરીને શિકારી પક્ષી વિશે માહિતી મેળવશે.
ગુજરાતએ વિદેશી પક્ષીઓ માટે દાયકાઓથી આકર્ષણનું કેન્દ્ર રહયુ છે. કચ્છનું રણ,ગીર નેશનલ પાર્ક, કાળીયાર રાષ્ટ્રીય ઉધાન, નળ સરોવાર, વાસદા નેશનલ પાર્ક, જેસોર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, ખીજડીયા પક્ષી અભ્યારણ જેવા જુદા જુદા કુલ 27 સ્થળોએ ગુજરાતમાં ખાસ કરીને શિયાળામાં વિદેશી શિકારી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. પરંતુ આ પક્ષીઓ વિશે અત્યાર સુધી ખાસ વિશેષ માહિત નથી.તેના માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર બે દિવસ સર્વે કરવામાં આવશે.
જેમાં ગુજરાતની બર્ડ કઝર્વેશન સોસાયટી અને વન વિભાગની સાથે રેપ્ટર નેટવર્ક ઇન્ડિયાના સહયોગથી થઇ રહેલી આ કામગીરીમાં જાણીતા શિકારી પક્ષી નિષ્ણાંત ડો.વિભુ પ્રકાશ તેમજ બર્ડ કર્ઝવેશન સોસાયટીના ગુજરાતના પ્રેસીડેન્ટ ડો.બકુલ ત્રિવેદીની આગેવાનીમાં 180 પક્ષી નિષ્ણાંતોની ટીમ સર્વેમાં જોડાશે. અલગ અલગ કુલ 27 અભ્યારણમાં ટીમ બે દિવસ સર્વે કરીને શિકારી પક્ષીઓની સંખ્યા,તેમની દિનચર્યા,તેમના સર્વધન ની સાથે કયારે આવે છે અને કયારે જાય છે. કેટલા દિવસ ગુજરાતમાં રોકાય છે તેમનો ખોરાક તથા કયારે પરત જાય છે તે તમામ બાબતની વિગતો મેળવશે.
ગુજરાતમાં શિકારી પક્ષીઓ અંગે અત્યાર સુધી કોઈ વ્યાપક અને આધારભૂત વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ નહોતી. રશિયા, યુરોપ અને આફ્રિકા જેવા વિસ્તારોમાંથી અનેક શિકારી પક્ષીઓ શિયાળામાં ગુજરાત આવે છે, પરંતુ તેમની સંખ્યા, વિતરણ અને મહત્વપૂર્ણ રહેઠાણો વિશે ચોક્કસ માહિતીનો અભાવ હતો. આ સર્વે દ્વારા આ ખામી પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.અને તેમની સંખ્યાની પણ નોંધ કરાશે.
