બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, રાજ્ય સરકારે વિરોધીઓ સામે બળપ્રયોગના આરોપોને નકારી કાઢ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે બિહારના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા હતા, જેના પરિણામે પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને વિરોધીઓ ઘાયલ થયા હતા.
બિહાર સરકારના જણાવ્યા અનુસાર, 22 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનો અંગે કુલ 69 FIR નોંધવામાં આવ્યા હતા. લગભગ 500 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા 222 વિદ્યાર્થી વિરોધીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
સોગંદનામામાં છાપરામાં બનેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ છે. સરકારના જણાવ્યા અનુસાર, બે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO), ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર, બે સબ-ઇન્સ્પેક્ટર અને 11 કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. એક BDO ને એક આંખ ગુમાવવી પડી, જ્યારે બીજા અધિકારીને માથામાં ગંભીર ઈજા થઈ; તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.
સીવાનમાં, ભીડમાં ફસાઈ ગયા બાદ એક કોન્સ્ટેબલે તેની AK-47 થી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. સરકારે જણાવ્યું હતું કે આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. એક અલગ ઘટનામાં, એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) એ હાથી ચોક ખાતે 9ળળ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. સરકારના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ત્રણ પ્રદર્શનકારીઓને નાની ગોળી વાગી હતી.
