અગ્નિકાંડ: સેશન્સ કોર્ટમાં પ્રથમ જામીન અરજી મંજૂર; ATP મુકેશ મકવાણા જામીન મુક્ત

  ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરની જામીન અરજીની સુનાવણી કોઈ પણ ઘડીએ હાથ પર લેવામાં આવશે રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ…

 

ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરની જામીન અરજીની સુનાવણી કોઈ પણ ઘડીએ હાથ પર લેવામાં આવશે

રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ સેશન્સ કમિટ થયા બાદ સેશન્સ કોર્ટ દ્વારા એક પણ આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા નથી ત્યારે વધુ બે આરોપી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરે જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા પહેલી વખત આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. જ્યારે ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડની જામીન અરજી પર હવે કોઈ પણ ઘડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ કેસની હકીકત મુજબ રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મે 2024ની સાંજે આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી.

જે ઘટનામાં પોલીસે ફરિયાદી બની જવાબદાર મહાનગર પાલિકાના અધિકારીઓ અને ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જ્યારે બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હતા.

આ કેસમાં ચાર્જશીટ બાદ આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા અને ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડે જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ટીપીઓ મુકેશભાઇ મકવાણાએ કરેલી જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી એટીપી મુકેશભાઇ મકવાણાને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. જ્યારે ફેબ્રિકેશનના કોન્ટ્રાકટર મહેશ રાઠોડની જામીન અરજી પર હવે કોઈ પણ ઘડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *