પ્લેન દુર્ઘટનાની પહેલી વરસીએ પણ ‘બ્લેકબોકસ’નું રહસ્ય અકબંધ
આજે તા.12 જૂનને શુક્રવારે અમદાવાદની વિમાની દુર્ઘટનાની પહેલી વરસી છે. 2025માં આજના દિવસે એર ઇન્ડિયાનું અમદાવાથી લંડન જઈ રહેલુ વિમાન ઉડાનની થોડી મિનિટોમાં જ મેડીકલ કોલેજ ઉપર તૂટી પડ્યું હતું અને 260 લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના કેવી રીતે થઇ અને તેની પાછળ શું કારણભૂત હતુ તે હજુ જાહેર થયુ નથી અને ફાઈનલ તપાસ અહેવાલ આવતા હજુ ત્રણ મહિના જેવો સમય પસાર થઇ શકે છે.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો (AAIB )એ અગાઉ વિમાન દુર્ઘટનાની પહેલી વરસીએ સંપૂર્ણ તપાસ અહેવાલ જાહેર કરાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ અમેરિકામાં વિમાનના એન્જીનની તપાસ હજુ પૂરી થઇ નથી સાથોસાથ ટેકનીકલ એનાલિસીસ પણ હજુ બાકી છે.
સૂત્રો અનુસાર, AAIB આ અઠવાડિયે તપાસનો સ્ટેટ્સ રીપોર્ટ જાહેર કરી શકે છે. આ સ્ટેટ્સ રીપોર્ટમાં તપાસ મોડી થવાનું કારણ પણ જાહેર કરવામાં આવશે. AAIB ના પ્રારંભિક અહેવાલમાં ખુલાસો થયો હતો કે બંને એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો લિફ્ટ-ઓફ પછી થોડી જ સેક્નડોમાં RUNથી CUTOFFમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે બંને એન્જિનને ઇંધણ પુરવઠો બંધ થઈ ગયો હતો. અહેવાલમાં એક ટૂંકી વાતચીતનો ખુલાસો થયો હતો જેમાં એક પાઇલટે બીજાને પૂછ્યું હતું કે તેણે કેમ કાપી નાખ્યું, પરંતુ ફક્ત કહેવામાં આવ્યું કે તેણે આવું કર્યું નથી.
એવા સંકેતો છે કે AAIB 12 જૂન સુધીમાં સંપૂર્ણ તપાસ અહેવાલ રજૂ કરી શકશે નહીં, અને તેના બદલે વચગાળાનો અહેવાલ અથવા ફક્ત સ્થિતિ અપડેટ પણ જારી કરી શકે છે. રોઇટર્સ અને બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલો મુજબ, અંતિમ અહેવાલમાં થોડા મહિના વિલંબ થવાની ધારણા છે કારણ કે યુ.એસ.માં દુર્ભાગ્યપૂર્ણ વિમાનના એન્જિનનું વિગતવાર ટેકનિકલ વિશ્ર્લેષણ હજુ પૂર્ણ થયું નથી. નિષ્ણાતોના મતે, હવાઈ દુર્ઘટનાની તપાસ અત્યંત જટિલ અને લાંબી કવાયત હોઈ શકે છે, ક્યારેક ઘણા વર્ષો લાગી શકે છે.
