રાબડા સંચાલકો પાસેથી ગોળ ખરીદી 100 વર્ષ જૂની પેઢીએ પેમેન્ટ નહીં ચૂકવતા ફરિયાદ
ગીર સોમનાથના કોડીનારમાં ગોળના વેપાર સાથે સંકળાયેલી આશરે 100 વર્ષ જૂની એ.સી. એન્ડ કુ. પેઢી સામે રૂૂ. 4 થી 4.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. રાબડા સંચાલકોએ પેઢીના માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા વેપારી વર્તુળમાં ભારે ચકચાર મચી છે. આ મામલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, એ.સી. એન્ડ કુ. પેઢી લાંબા સમયથી ગોળના કમિશનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે પેઢીની ત્રીજી પેઢીના અમિત ચંદુલાલ જાની, ભાવેશ ચંદુલાલ જાની અને હેમાંગ ચંદુલાલ જાની તેનો વહીવટ સંભાળે છે.વર્ષ 2024થી આ પેઢીએ રાબડાવાળાઓ પાસેથી ગોળની ખરીદી કરી હતી.જોકે, વેપારીઓ પાસેથી ગોળ ખરીદ્યા બાદ તેમને સમયાંતરે મુદત આપવામાં આવી હોવા છતાં બાકી રકમની ચૂકવણી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
લેણદારોના જણાવ્યા અનુસાર, પેઢી તરફથી નાણાં ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી અને મિલકત વેચીને બાકી રકમ ચૂકવવામાં આવશે તેમ પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ આ ખાતરી બાદ પણ ચુકવણી ન થતાં લેણદારોમાં અસંતોષ ફેલાયો હતો અને અંતે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
હાલ પેઢી સામે આશરે રૂૂ. 4 થી 4.5 કરોડની બાકી રકમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આક્ષેપો અને સમગ્ર વ્યવહાર અંગેની હકીકત પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે. આ ઘટનાએ કોડીનારના ગોળના વેપારી વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે.
