ખેડૂતના ઘઉંના ઉભા પાકમાં વીજપોલ નાખવા પોલીસ સાથે વીજકંપની ત્રાટકી, ખેડૂતોમાં રોષ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પાસેના જેપુર ગામમાં વીજ કંપનીની કથિત દાદાગીરી અને ખેડૂતો પ્રત્યેની સંવેદનહીનતાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં ઉભા પાક વચ્ચે બળજબરીથી વીજ પોલ નાખવાની કામગીરીથી લાગેલા આઘાતને કારણે ખેડૂત ભગવાનજીભાઈ રૂૂપાપરાનું હાર્ટ એટેકથી નિધન થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જેટકો (ૠઊઝઈઘ) કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે જેપુર ગામમાં પહોંચ્યા હતા અને ખેડૂતની મંજૂરી વિના જ તેમના ખેતરમાં હાઈ ટેન્શન લાઈન નાખવાની કામગીરી શરૂૂ કરી દીધી હતી.
ભગવાનજીભાઈના ખેતરમાં શિયાળુ ઘઉંનો પાક તૈયાર હતો. જેસીબી અને મશીનરી ખેતરમાં ફરતા પાકને નુકસાન થયું હતું. પોતાની નજર સામે જમીન અને પાકને બરબાદ થતો જોઈ ભગવાનજીભાઈ અત્યંત તણાવમાં આવી ગયા હતા. સાંજ સુધી સ્વસ્થ જણાતા ખેડૂતને રાત્રે ચિંતામાં હાર્ટ એટેક આવ્યો અને તેમનું દુ:ખદ નિધન થયું.
મૃતક ખેડૂતના પરિવારને સાંત્વના આપવા પહોંચેલા આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન જિગીષા પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સરકાર અને તંત્ર ખેડૂતોને માણસ નહીં પણ કીડા-મકોડા સમજે છે. ખેડૂત પોતાની માલિકીના ખેતરમાં લોહી-પરસેવો રેડીને પાક ઉગાડે છે, ત્યારે તેની મંજૂરી લીધા વિના પોલીસને સાથે રાખીને દબાવવામાં આવે છે. જગતનો તાત દરેક જગ્યાએ પીસાઈ રહ્યો છે. શું ખેડૂતોને માત્ર અન્યાય જ સહન કરવાનો? જો તમારા ખેતરમાં આ થાય તો તમારી સાથે કોઈ ઉભું નહીં રહે, માટે તમામ ખેડૂતોએ હવે એક થઈને જાગૃત થવાની જરૂૂર છે.”
એક હસતા-રમતા ખેડૂતના મૃત્યુથી જેપુર ગામમાં શોક અને રોષની લાગણી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ દાદાગીરી બંધ નહીં થાય અને પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
આપના સરકાર પર આકર પ્રહાર
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પણ સરકાર અને વીજ કંપનીની મિલીભગત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટેકનિકલ મુદ્દાઓ ટાંકતા કહ્યું હતું કે, “ખેતરમાં વીજ પોલ નાખવાથી જમીનની કિંમત ઘટી જાય છે. ભવિષ્યમાં જમીન વેચવી હોય કે ભાઈઓ વચ્ચે ભાગ પાડવો હોય તો કાયમી નુકસાન જાય છે.” ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વેધક સવાલ કર્યો હતો કે, “ગામમાં સરકારી ગૌચર અને પડતર જમીનો હોવા છતાં, માત્ર ગરીબ ખેડૂતોના ખેતરોમાં જ કેમ થાંભલા નાખવામાં આવે છે? કલેક્ટર કે અધિકારીઓના બંગલા કે અગાશી પર કેમ વીજ પોલ નથી નાખવામાં આવતા?” તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર, પોલીસ અને પ્રાઇવેટ કંપનીઓએ ગેંગ બનાવી લીધી છે જે કાયદા કે નિયમો નેવે મૂકીને માત્ર દાદાગીરીથી કામ કરે છે.
