શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ રાજકોટ અને મોરબીના મેળામાં ફરવા લઈ ગયો હતો તેમ છતાં પરિણીતાએ ત્રીજી વખત રાજકોટના મેળામાં ફરવા જવાની જીદ સાથે જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી શેરી નંબર પાંચમાં રહેતી પૂજાબેન કુલદીપભાઈ સોલંકી નામની 19 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં વાસણ સાફ કરવાનું લિક્વિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કારતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. બી ડિવિઝન પોલીસે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી પૂજાબેન સોલંકીની પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક તપાસમાં પૂજાબેન સોલંકીના પતિ કુલદીપભાઈ સોલંકી ઇમિટેશનનું કામ કરે છે કુલદીપ સોલંકી પરની પૂજાબેન સોલંકીને રાજકોટના મેળામાં ફરવા લઈ ગયો હતો અને આઠમના દિવસે દંપતી મોરબી ગયું હતું. ત્યાં મોરબી યોજાતા મેળામાં દંપતિ ફરવા માટે ગયું હતું અને મોરબીથી પરત રાજકોટ આવ્યા બાદ પૂજાબેન સોલંકીએ ત્રીજી વખત રાજકોટના મેળામાં ફરવા જવાની જીદ કરી હતી જેથી પતિ કુલદીપ સોલંકીએ મેળામાં જવાની ના પાડતા પૂજાબેન સોલંકીએ મેળામાં ફરવા જવાની જીદ સાથે જ્વલનશીલ પ્રવાહી પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
