મહારાષ્ટ્રના પાલઘરથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 13 વર્ષના સગીરની હત્યાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના દાવા અનુસાર, સગીરે એક સીરિયલ કિલર સાથે જોડાયેલી હિન્દી ફિલ્મ જોયા બાદ 6 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી છે.
પેલ્હાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, બાળકીનો મૃતદેહ સવારે આશરે સાડા ચાર વાગ્યે શ્રીરામ નગર પહાડીથી મળ્યો ત્યારથી હડકંપ મચી ગયો હતો. પેલ્હાર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જીતેન્દ્ર વાનકુટે જણાવ્યું કે સમગ્ર મામલે અમે નાલાસોપારાના એક 13 વર્ષના સગીરની અટકાયત કરી છે. આ મૃતક બાળકીનો પિતરાઈ ભાઈ છે. તેણે કથિત રૂૂપે ઈર્ષાના કારણે બાળકીની હત્યા કરી દીધી હતી. કારણ કે, તેને લાગતુ હતુ કે, પરિવારમાં બધાં આ બાળકીને જ વધારે પ્રેમ કરે છે.
આ વિશે વધુ વાત કરતાં તેમણે જણાવ્યું કે બાળકી શનિવારથી ગુમ હતી. ત્યારબાદ તેના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પાસેની એક કંપનીની સીસીટીવી ફૂટેજમાં સગીર બાળકીને ક્યાંક લઈ જતો જોવા મળ્યો હતો. પહેલાં તો આ સગીરે પોલીસને ભરમાવાનો પ્રયાસ કર્યો પરંતુ, બાદમાં તેણે હકીકત કબૂલ કરી લીધી હતી
મળતી માહિતી મુજબ સગીરે સીરિયલ કિલર સાથે જોડાયેલી ફિલ્મ રમન રાઘવ જોયા બાદ બાળકીનું ગળું દબાવી નાંખ્યું અને બાદમાં તેના ચહેરાને પથ્થરથી કચડી નાંખ્યું. હાલ, ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .