ટેક્નિકલ સમસ્યાના કારણે નંબરો બંધ થઇ જતાં તાત્કાલિક BSNLને જાણ કરાઇ
સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલની બેદરકારીથી રાજકોટમાં ઇમરજન્સી સેવા ખોરવાતા અફરાતફરી મચી ગઇ હતી. શહેરના મુખ્ય ફાયર સ્ટેશનના તમામ ફોન મુંગા થઇ જતા લોકોમાં દેકારો મચી ગયો હતો. ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા તાત્કાલીક બીએસએનએલને જાણ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરનું મુખ્ય ફાયર સ્ટેશન બસ સ્ટેશન પાછળ કનક રોડ ખાતે આવેલુ છે. શહેર અને આસપાસના કોઇ પણ સ્થળે આગ કે કોઇ દૂઘર્ટના સર્જાય તો લોકો કંટ્રોલ રૂમના 101, 102 કે 021-2227222 ઉપર સંપર્ક કરતા હોય છે. જો કે આજે બપોરના 12 વાગ્યાની ફાયર બ્રિગેડના એક પણ નંબર ઉપર સંપર્ક થતો ન હોવાથી લોકોમાં દેકારો મચી ગયો હતો. લોકો ફાયરબ્રિગેડ ખાતે રૂબરૂ દોડી ગયા અને ફોન લાગતા ન હોવાનુ જણાવતા ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા તપાસ કરાતા મુખ્ય ફાયર સ્ટેશનના તમામ 8 ફોન બંધ હોવાનુ જણાઇ આવ્યું હતું.
જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક બીએસએનએલ ઓફિસને જાણ કરવામાં આવતા મેઇન્ટેનેન્સના કારણે ફોન બંધ હોવાનુ જણાવ્યું હુત જો કે, મેઇન્ટેનેન્સ અંગે બીએસએનએલ તંત્ર દ્વારા કોઇ આગોતરી જાણ કરવામાં આવી ન હોવાથી ફયારબ્રિગેડ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ ન હતી.
આમ બીએસએનએલ તંત્રની બેદરકારીના કારણે ફાયરબ્રિગેડ જેવી મુખ્ય સેવા ખોરવાઇ ગઇ હતી. જો કોઇ મોટી દૂઘર્ટના સર્જાય તો જાણ કેમ કરવી? તેવા અનેક સવાલો ઉઠયા છે. જો કે, બપોરના બે વાગ્યા સુધી ફોન ચાલુ થયા ન હતા.
વૈકલ્પિક નંબરો જાહેર કરાયા
ફાયરબ્રિગેડ મુખ્ય કંટ્રોલ રૂમના તમામ ફોન બંધ થઇ જતા જયા સુધી ફરીથી કાર્યરત ન થાય ત્યા સુધી વૈકલ્પિક નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચીફ ફાયર ઓફિસર મીલા નં.76220 19100 અને સ્ટેશન ઓફિસર જુણેજા નં.97146 87865 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.