વૃધ્ધાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
જસદણ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ છેલ્લા લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આનંદનગર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય મંજુબેન શંભુભાઈ સાયાણી છેલ્લા 20 વર્ષ જેટલા લાંબા સમયથી ડાયાબીટીસ અને બ્લડપ્રેસર જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. આ ઉપરાંત તેમને કમરના અસહ્ય દુખાવાની પણ તકલીફ હતી. શારીરિક યાતનાઓથી કંટાળીને ગત તારીખ 29/3 ના રોજ મંજુબેને પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ કોઠડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે અત્રેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરૂૂણ મોત નીપજ્યું હતું.
આ કરૂૂણ ઘટનાને પગલે સાયાણી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક મંજુબેન સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી ધરાવતા હતા. તેમના સંતાનોમાં મોટો પુત્ર કલ્પેશભાઈ જેઓ એમ્બ્રોડરીના વ્યવસાય સાથે જોડાયેલા છે, જ્યારે નાનો પુત્ર મયુર વડોદરા ખાતે મિકેનિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.આકસ્મિક નિધનથી સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પત્ની અને માતાના વિયોગમાં સમગ્ર પરિવાર અને સ્નેહીજનો સ્તબ્ધ થઈ ગયા છે. 20 વર્ષની લાંબી માંદગી અને શારીરિક પીડા અંતે એક હસતા-રમતા પરિવાર માટે આઘાતજનક સાબિત થઈ છે. પોલીસે આ મામલે પ્રાથમિક વિગતો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
