દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર અને દ્વારકા વિસ્તારના વિકાસલક્ષી કાર્યો અને પ્રજાના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, દ્વારકા વિધાનસભા વિસ્તારના આગેવાન સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર અને જિલ્લા ભાજપ મંત્રી ધારણાતભાઈ ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે એક મહત્વપૂર્ણ મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં વિધાનસભા ક્ષેત્રના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે તેના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપવા માટે અન્ય વિભાગીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ મુલાકાતમાં વિવિધ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને આગામી સમયમાં આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાત દ્વારા કલ્યાણપુર-દ્વારકા વિધાનસભા મતક્ષેત્રના પ્રજાજનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને વિકાસની દિશામાં નોંધપાત્ર પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ રજૂઆતથી પ્રજાની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
