જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નો સાથે આવેલા 22 અરજદારો પૈકી 17 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક અને તાત્કાલિક નિકાલ લાવી અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, 22 અરજીઓમાંથી 17નો નિકાલ થયો, જ્યારે એક અરજી નકારાત્મક જણાઈ હતી અને ચાર અરજીઓને વધુ કાર્યવાહી માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તાલુકા કક્ષાએથી આવેલા અરજદારોના પ્રશ્નો પણ વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા અને સંબંધિત પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોને જરૂૂરી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી.
સ્વાગત કાર્યક્રમ દરમિયાન કલેક્ટર કેતન ઠક્કરે તમામ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી, માનવીય અભિગમ દાખવી અને સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી. જ્યાં જરૂૂરી જણાયું ત્યાં વિભાગો વચ્ચે સંકલન કરીને પણ અરજદારોના પ્રશ્નો ઝડપથી હલ થાય તે માટે પ્રયાસો કરાયા હતા.
આ કાર્યક્રમમાં ગેરકાયદેસર દબાણ, રિ-સર્વે રેકર્ડ સુધારવા, યોજનાકીય લાભ, ખેતીની જમીનના પ્રશ્નો, સ્કોલરશીપ, સરકારી ખરાબા પરના દબાણ હટાવવા, હોમ લોન સબસીડી, પાણી નિકાલના પ્રશ્નો જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી. પ્રશ્નોનું સુખદ સમાધાન થતા અરજદારોએ કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સફળતાપૂર્વક યોજાયેલા આ સ્વાગત કાર્યક્રમથી અનેક અરજદારોને પોતાની સમસ્યાઓનું નિરાકરણ મળ્યું હતું.
