તળાવની પાળથી સાતમો રસ્તો ખુલ્લો કરવા મહાપાલિકા દ્વારા કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકા ના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીનો સાતમો માર્ગ બનાવવા માટેની તૈયારી શરૂૂ કરવામાં આવી હતી, અને આજે સવારે તેનું મ્યુનિ. કમિશનર અને એસ.પી. સહિતના અધિકારીઓની હાજરીમાં સર્વે કરાવાયું હતું.
ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર ખૂબ જ એક્શન મોડમાં આવી ગયું છે, અને બપોર બાદ રસ્તો ખુલ્લો કરાવવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી. લાખોટા તળાવની પાળ થી જૂની આરટીઓ કચેરી તરફ જવાના માર્ગે આવેલું સિટી એ. ડિવિઝન વાળું જૂનું બે માળનું બિલ્ડીંગ કે જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી સહિતની ટુકડી તળાવ ની પાળે પહોંચી હતી, અને સૌ પ્રથમ હિટાચી મશીનની મદદથી સીટી એ ડિવિઝન વાળું જૂનું બે માળનું બિલ્ડીંગ તોડી પાડ્યું હતું, અને રસ્તો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.
સૌપ્રથમ આ કાર્યવાહી થયા બાદ અન્ય સરકારી વિભાગની જુનવાણી અન્ય કચેરીઓ સહિતના બાંધકામ તોડી પાડવાની કામગીરી દિન પ્રતિદિન હાથ ધરવામાં આવશે, અને નજીકના ભવિષ્યમાં જ સમગ્ર રસ્તો ખુલ્લો કરી દેવાશે. ત્યારબાદ આ સ્થળે 18 મીટર પહોળો માર્ગ તૈયાર કરાશે.
જે માર્ગ શરૂૂ થવાથી તળાવની પાળ થી સાત રસ્તા તરફ સીધા જઈ શકાશે, અને ઘણો ટ્રાફિક હળવો બની જશે.
