દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ સુરક્ષા માટે મહત્વના એવા સલાયામાં ગઈકાલે મંગળવારે તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજસીટોક જેવા ગુનાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ચાર જેટલા અનઅધિકૃત દબાણોને હટાવવામાં આવ્યા હતા.
ખંભાળિયા પંથકમાં ચકચારી એવી આ કાર્યવાહીમાં ખંભાળિયા તાલુકાના મહત્વના એવા સલાયાના હુશેની ચોક વિસ્તારમાં રહેતા અને ગુજસીટોક જેવી વિવિધ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એજાજ રજાક સંઘાર, રિઝવાન રજાક સંઘાર, અકરમ રજાક સંઘાર, અસગર રજાક સંઘાર, ઇમરાન રજાક સંઘાર અને અબ્દુલકરીમ સલીમ ભગાડ નામના છ શખ્સો દ્વારા સરકારી જમીન ઉપર બિનકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંક મકાનો સહિતના દબાણો દૂર કરવા અંગે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસો બાદ ગઈકાલે મંગળવારે સવારથી અહીંના મામલતદાર વી.કે. વરુ, સીટી સર્વે વિભાગ તેમજ તેમની ટીમ દ્વારા પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફને સાથે રાખીને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટા તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન ડિમોલિશનમાં આખરે રૂૂ. એક કરોડની બજાર કિંમત ધરાવતી જગ્યામાં કુલ 3891 ચોરસ ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણ દૂર કરી, આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહીમાં પ્રાંત અધિકારી કચેરીના સ્ટાફ સાથે રેવન્યુ સ્ટાફ, પોલીસ સ્ટાફ ઉપરાંત પીજીવીસીએલ અને સીટી સર્વેની ટીમ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. કાયદો અને વ્યવસ્થાની પણ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી વિસ્મય માનસેતા અને સલાયાના પી.આઈ. વી.એ. રાણાની ટીમ દ્વારા જરૂૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.દબાણ દૂર કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ જારી રહેશે તેમ પણ જાણવા મળ્યું છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓ તેમજ અસામાજિક તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી.
