ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાવાને કારણે રાજકોટ જિલ્લામાં ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. સીમ અને ખુલ્લા વિસ્તારોમાં ઘાસચારો સુકાઈ જવાના કારણે અને બજારમાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચી જતા ગૌશાળાઓ અને પાંજરાપોળોનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે. આ વિકટ પરિસ્થિતિ અંગે સિદ્ધાર્થ ગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી છે. સિદ્ધાર્થ ગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સાયપર (તા. જી. રાજકોટ) દ્વારા કલેક્ટરને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, “હાલ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા સીમ તથા ખુલ્લા ઘાસચારાની ખૂબ જ અછત ઉભી થઈ છે. ઘાસચારાના ભાવ આસમાને જતા રહ્યા હોવાથી ગૌશાળા તેમજ પાંજરાપોળમાં ગૌવંશ તેમજ ગૌમાતાનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે.”
અબોલ જીવોની આ દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના હરીભાઈ દ્વારા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગૌશાળાઓ તેમજ પાંજરાપોળોને ઘાસચારો વિતરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પશુઓને ભૂખમરામાંથી બચાવી શકાય. કલેક્ટર કચેરી ખાતે આ અંગેની લેખિત રજૂઆત કરી દેવામાં આવી છે.
