એરકવોલિટી ઈન્ડેકસ 600 સુધી પહોંચી જતાં NCRમાં ગ્રેપ-4 લાગુ, શાળાઓ-ઓફિસો હાઈબ્રિડ મોડમાં ચલાવવા આદેશ
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણ ભયાનક સ્તરે પહોંચતાં વિમાની સેવાઓ તેમજ જનજીવન ઉપર ઘેરી અસર થઈ છે અને સવારે 9.30 વાગ્યા સુધીમાં જ 40 ફલાઈટસ રદ કરવામાં આવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સથી સુનાવણીના આદેશો આપ્યા છે તેમજ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા તથા ઓફિસોમાં ‘વર્ક ફોર હોમ’ નો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. ગાઢ ધુમ્મસના કારણે એન.સી.આર.માં ગે્રપ-4 લાગુ કરાયો છે અને હાઈવે ઉપર વિઝિબિલિટી ઝીરો થઈ જતાં અનેક અકસ્માતો સર્જાયા છે.
પ્રદુષણના કારણે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે હાઇબ્રિડ મોડ અપનાવવાની સલાહ આપી છે. તેમણે સલાહ આપી છે કે, શક્ય હોય ત્યાં, સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ આ સંદર્ભમાં એક પરિપત્ર જારી કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે અગાઉ દિલ્હીમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ડિસેમ્બરની શરૂૂઆતમાં, મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે લાખો લોકો પ્રદૂષિત હવા શ્વાસ લઈ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેવાની અપેક્ષા છે. 15 થી 19 ડિસેમ્બર સુધી, દિલ્હી-NCR, ચંદીગઢ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહેવાની અપેક્ષા છે. ગાઢ ધુમ્મસ રોડ, રેલ અને હવાઈ ટ્રાફિકને પણ અસર કરી શકે છે.
દિલ્હી-NCR ગેસ ચેમ્બર બની ગયું છે. ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણને કારણે દૃશ્યતા શૂન્ય છે. હવા ગુણવત્તા સૂચકાંક (અચઈં) લગભગ 600 સુધી પહોંચી ગયો છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, NCR માં ગ્રેપ-4 લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, દિલ્હી અને નોઈડામાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ’ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. શાળાઓ અને ઓફિસો હાઇબ્રિડ મોડમાં કાર્યરત છે.
GRAP-4 શનિવારે દિલ્હી-NCR માં લાગુ કરવામાં આવ્યું. આ પછી, નોઈડા અને ગાઝિયાબાદમાં પ્રિ-નર્સરીથી લઈને 5મા ધોરણ સુધીના વર્ગો સંપૂર્ણપણે ઓનલાઈન ચલાવવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. દરમિયાન, 6ઠ્ઠા થી 9મા અને 11મા ધોરણના વર્ગો હાઇબ્રિડ મોડમાં (ઓનલાઈન અને ઓફલાઈન બંને) ચાલુ રહેશે.
ગૌતમ બુદ્ધ નગર જિલ્લા શાળા નિરીક્ષક રાજેશ કુમાર સિંહે એક નિર્દેશમાં જણાવ્યું હતું કે આ નિયમો જિલ્લાની તમામ સરકારી, સહાયિત, ખાનગી અને અન્ય બોર્ડ-સંલગ્ન શાળાઓમાં તાત્કાલિક લાગુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે શાળાઓએ શક્ય હોય ત્યાં ઓનલાઈન વર્ગો ચલાવવા જોઈએ, જ્યારે ઓફલાઈન વર્ગો મર્યાદિત હાજરી સાથે અન્યત્ર યોજાઈ શકે છે.
