મેંદરડા તાલુકાના જાંબુથાળા ગામના માલધારી સલીમભાઈ બલોચ મકરાણીના આપઘાતના મામલે મોડીરાત્રે વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો. સલીમભાઈએ વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી અને સાત દિવસની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. આ ઘટના બાદ છેલ્લા 24 કલાકથી પરિવારજનો અને સમાજના આગેવાનો પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા હતા. પરંતુ આરએફઓ સહીત ત્રણ જવાબદારો સામે ગુનો નોંધાતા મૃતદેહ સ્વિકારી લીધો હતો.
મેંદરડાના જાંબુથાળા નેસમાં રહેતા માલધારી સલીમભાઈ બલોચ મકરાણીએ વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારજનોનો આરોપ છે કે, વન વિભાગના અધિકારીઓ સલીમભાઈને ખોટી રીતે હેરાન કરતા હતા. તેઓ એવા આરોપો લગાવીને ધમકાવતા હતા કે, સલીમભાઈ બહારથી પશુઓને જંગલમાં ચરાવવા લાવે છે. જો કે, સલીમભાઈએ પોતાની માલિકીના પશુઓ હોવાનું સોગંદનામું આપ્યું હોવા છતાં તેમને હેરાન કરવામાં આવતા હતા અને ઝૂંપડા હટાવવા માટે પણ ધમકીઓ આપવામાં આવતી હતી.
આ ત્રાસથી કંટાળીને સલીમભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં મામલતદાર સમક્ષ આપેલા ડાઈંગ ડિક્લેરેશનમાં પણ તેમણે વન વિભાગના અધિકારીઓના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે.
સલીમભાઈના નિધન બાદ પરિવારજનોએ પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમના ભાઈ હનીફભાઈ અને ભીખુભાઈએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરીને તેમને સસ્પેન્ડ કરી ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
છેલ્લા 24 કલાકથી પરિવારજનો અને સમાજના અગ્રણીઓ આ મુદ્દે પોલીસ સાથે ચર્ચા કરી રહ્યા હતા. આખરે મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓની સમજાવટ અને કાનૂની કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. પોલીસે ઇગજ કલમ 108 હેઠળ મેંદરડાના આરએફઓ સહિત ત્રણ અધિકારીઓ સામે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકારીને સલીમભાઈના અંતિમ સંસ્કાર કર્યા હતા.
