પરિવાર આ પ્રેમને સ્વીકારસે નહીં તેવો ડર લાગતા સીમ વિસ્તારમાં ગળેફાંસો ખાઇ લીધો
ચોટીલા તાલુકાના ગોલીડા ગામે રહેતો અને 2 બાળકોનો પિતા 26 વર્ષીય યુવાન અને કંથારીયા ગામે રહેતી અપરણીત 22 વર્ષની યુવતીની વીડ વિસ્તારમાં વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી આપી હતી. આપઘાત કરતા મામા-ફઈના ભાઈ-બહેન થતા હોવાનું સામે આવ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં પ્રેમી પંખીડાના આપઘાતના બનાવો અવારનવાર સામે આવે છે. રાજકોટ, નજીકમાં આવેલા જસદણ સહિત સ્થળોએથી ચોટીલામાં આવી પ્રેમી પંખીડાઓ સજોડે ફાની દુનીયાને અલવીદા કહે છે. ત્યારે પ્રેમી પંખીડાનો વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહીતી મુજબ ચોટીલા તાલુકાના ગોલીડા ગામે રહેતા 26 વર્ષીય વનરાજભાઈ પ્રેમજીભાઈ રંગપરા પરણીત છે. તેઓને 2 સંતાનો છે. તેમને ચોટીલા તાલુકાના કંથારીયા ગામે રહેતી 22 વર્ષીય અસ્મીતાબેન બાબુભાઈ ઝીંઝરીયા સાથે આંખ મળી ગઈ હતી.
બન્ને મામા-ફઈના સંતાનો હોઈ ભાઈ-બહેન થતા હોઈ સમાજ આ પ્રેમને સ્વીકારશે નહી તેની તેઓને જાણ થઈ હતી. ત્યારે રવીવારે રાત્રે બન્ને પોતાના ઘરેથી ફરાર થઈ ગયા હતા. અને તા. 2 જુનને સોમવારે સવારે કંથારીયા ગામના વીડ વિસ્તારમાં વૃક્ષ સાથે દોરડુ બાંધીને બન્નેએ આપઘાત કરી લીધો હતો. ગામના સરપંચે આ અંગે નાની મોલડી પોલીસને જાણ કરાતા પીઆઈ એન.એસ.પરમારના માર્ગદર્શનથી એએસઆઈ ધારાબેન ધ્રાંગીયા સહિતનાઓ દોડી ગયા હતા. અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
