શહેરમાં કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલ જયનગર મફતીયાપરામાં ચોરી કરવા આવેલા તસ્કરોને વૃદ્ધે ટપારતા તસ્કરોએ વૃદ્ધનું ઢીમ ઢાળી દીધું હતું. જે હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની હકિકત મુજબ કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલ જયનગર, મફતીયાપરામાં રહેતા દેવશીભાઈ ઉકાભાઈ સોલંકી ઘરની બહાર ખાટલો નાખીને સુતા હતા. ત્યારે ધુળ ધોવાનો ધંધો કરતા સંજયભાઈના ડેલામાં તસ્કરોએ ત્રાટકી ડેલામાં રાખેલ રૂૂ.16 હજારની કિંમતના વેસ્ટેજ માલના આશરે 10 બાચકાની ચોરી કરી હતી. તે દરમ્યાન દેવસીભાઈ સોલંકી જાગી જતા ચોરી કરતા શખ્સોને અટકાવતા આરોપીઓએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. જે અંગે મૃતકના પુત્ર રાહુલભાઈ સોલંકીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી મનીષ મણીલાલ નારોલાએ કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી દાખલ કરી હતી.
જે અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર અને ફરિયાદી પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. પી. એન. શાહ અને મુળ ફરીયાદી વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંઢેડીયા રોકાયા હતા.
