ઓબીસી ડીપાર્ટમેન્ટમાં જોડાવા કયુઆર કોડ લોન્ચ કરતા મહેશ રાજપૂત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશભાઈ રાજપુત, પુર્વ સાંસદ વિક્રમ માડમ તથા રૂત્વિક મકવાણાએ પછાત વર્ગને સતત થઈ રહેલો અન્યાય દુર કરવા માટે અને સમાજમાં એકતા વધારવા માટે એક ખાસ ઝુંબેશ શરૂૂ કરી છે. તેમણે એક જાહેર અપીલ દ્વારા ઓ.બી.સી. સમાજના લોકોને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને ન્યાય માટેના આ યજ્ઞમાં સહભાગી થવા વિનંતી કરી છે. એક કાર્યક્રમમાં મહેશભાઈ રાજપૂતે “પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ” એ નારા સાથે એક ક્યુ.આર. કોડ જાહેર કર્યો છે અને તેના દ્વારા લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.
મહેશભાઈ રાજપૂતે કહ્યુ છે કે, ગુજરાતના વિકાસને સાચી દિશામાં વેગ આપવા માટે અને હાલમાં વ્યાપી ગયેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈને નેસ્તનાબુદ કરવા માટે સમાજને એક કરવો જરૂૂરી છે. જો ઓ.બી.સી. સમાજ મનમાં આ માટે ગાંઠ વાળી લ્યે તો તેમને થતો અન્યાય દુર કરતા કોઈ રોકી નહી શકે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં ઓ.બી.સી. સમાજની વસતિ 53 ટકાથી પણ વધુ છે અને તેમાં કુલ 146 જેટલી જુદી જુદી જ્ઞાતિનો સમાવેશ થાય છે. જો ઓ.બી.સી. સમાજ આટલી વિશાળ સંખ્યામાં હોય અને યોગ્ય રીતે સંગઠિત થાય તો ઘણા સારા પરિણામ આવી શકે છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં પરિવર્તનની લહેર ફૂંકાઈ રહી છે ત્યારે સમગ્ર ઓ.બી.સી. સમાજ તેમાં સહભાગી બને તે આજના સમયની માંગ છે.
ગુજરાતમાં ઘણા સમાજનો વિકાસ થયો છે પરંતુ સરકારની અન્યાયી નીતિને લીધે ઓ.બી.સી. સમાજનો વિકાસ થયો નથી. આજે પણ આપણા સમાજની યુવા પેઢીને શિક્ષણથી લઈને રોજગાર મેળવવા સુધી અન્યાય સહન કરવો પડે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ (રબારી) વિગેરે હાજર રહેલા હતા.
