કોડીનાર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ સેવા દળ ગીર સોમનાથ દ્વારા કોડીનાર એસ.ટી. નિગમના ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરીને છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી કોડીનાર-અમરેલી (વાયા ઘાંટવડ, જામવાળા, દલખાણીયા) બસ સેવા તાત્કાલિક શરૂૂ કરવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સામાજિક જોડાણ: ઘાંટવડ અને જામવાળા ગીર પંથકના લોકો સામાજિક રીતે દલખાણીયા અને ધારી પંથક સાથે જોડાયેલા છે.
બસ બંધ હોવાથી પ્રસંગોપાત અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્ટેટ હાઇવે 33 ઉપરથી પસાર થતી બસ સેવા બંધ હોવાથી મુસાફરોએ વાયા ઊના થઈને લાંબો પ્રવાસ કરવો પડે છે, જેનાથી સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. અગાઉ જ્યારે રસ્તા કાચા હતા ત્યારે પણ આ રૂૂટ પર બિલીમોરા-સોમનાથ અને મોડાસા-કોડીનાર જેવી બસો ચાલતી હતી. હાલ રસ્તો પચાસ ટકાથી વધુ પાકો હોવા છતાં સેવા બંધ રાખવી અયોગ્ય છે. એસટી નિગમ દ્વારા અછતનું બહાનુ ધરાતું હતું, પરંતુ હાલ પૂરતો સ્ટાફ હોવા છતાં સ્થાનિક ગ્રામીણ જનતાના ભોગે જૂનાગઢ અને મહુવાના એક્સ્ટ્રા ફેરા કરવામાં આવે છે, જે અન્યાયકર્તા છે.
સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા બાદ દિવાળી કે જાન્યુઆરીમાં આ રૂૂટ શરૂૂ કરી દેવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો આગામી દિવસોમાં જનતાના હિતમાં આ બસ સેવા પુન: શરૂૂ કરવામાં નહીં આવે, તો સ્થાનિક સ્તરે રોષ જોવા મળી શકે છે તેવી રજૂઆત પત્રમાં કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ વિભાગીય નિયામક, સ્થાનિક ધારાસભ્યઅને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પણ રવાના કરવામાં આવી છે.
