મેડિકલ-ડેન્ટલમાં એડમિશનની મર્યાદા વધારવાની સ્થિતિ

પ્રવેશની તારીખ વિત્યા બાદ પણ પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચોથા રાઉન્ડમાં ખાલી પડેલી 64 બેઠકો પર વિદ્યાર્થીઓે પ્રવેશ ફાળવી દેવામાં…

પ્રવેશની તારીખ વિત્યા બાદ પણ પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ


મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચોથા રાઉન્ડમાં ખાલી પડેલી 64 બેઠકો પર વિદ્યાર્થીઓે પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. ચોથો રાઉન્ડ પૂરો થાય તે પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા પાંચ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે. બિહારમાં 2, આંધ્ર પ્રદેશમાં 2 અને પશ્ચિમ બંગાળમાં 1 કોલેજને મંજૂરી આપવામાં આવતાં હવે મેડિકલ પ્રવેશની સમયમર્યાદા લંબાવવી પડી તેવી સ્થિતિ ઉભી થઇ છે.


ગુજરાતમાં કુલ ત્રણ નવી મેડિકલ કોલેજોની મંજૂરી માંગવામાં આવી હતી જે પૈકી માત્ર એક જ કોલેજને મંજૂરી આપવામાં આવી છે.મેડિકલમાં ખાલી પડેલી 16 અને ડેન્ટલમાં 48 મળી કુલ 64 બેઠકો પર તાજેતરમાં વિદ્યાર્થીઓેને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે છેલ્લી તારીખ 5મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હાલમાં આ સમયમર્યાદા પૂર્ણ થઇ ચૂકી છે. આ સ્થિતિ વચ્ચે નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશમાં આંધ્ર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં કુલ પાંચ મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કોલેજોમાંથી કેટલીક બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાં પણ જાય તેમ છે.


આ સ્થિતિમાં મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની સમયમર્યાદામાં વધારો કરવો પડે તેવી રજૂઆત ઊઠી છે. ગુજરાતમાંથી ચાલુ વર્ષે કુલ ત્રણ નવી કોલેજો માટે મંજૂરી માંગવામાં આવી હતી.


અત્યાર સુધીમાં કડીમાં માત્ર એક જ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં અન્ય ત્રણ રાજયોને નવી મેડિકલ કોલેજની મંજૂરી મળી તેમાં પણ ગુજરાતને કોઇ વધારાની કોલેજ આપવામાં આવી નથી. આમ, આગામી દિવસોમાં એનએમસી દ્વારા મેડિકલમાં પ્રવેશ માટેની મુદતમાં વધારો કરશે તેવુ પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે. મુદત વધે તો રાજયમાં ખાલી પડેલી બેઠકો માટે પણ વધારાનો રાઉન્ડ કરવામાં આવશે.


આયુર્વેદ અને હોમિયોપેથીમાં હાલમાં ચોથા રાઉન્ડ માટે વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે કોલેજ ફાળવણી કરી દેવામાં આવી છે. આ બન્ને કોર્સમાં પ્રવેશ માટે કુલ 1300 વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી. જે પૈકી આયુર્વેદમાં 239 અને હોમિયોપેથીમાં 260 મળીને કુલ 499 વિદ્યાર્થીઓે કોલેજ ફાળવવામાં આવી છે. પ્રવેશ ક્ધફર્મ કરવા માટે આગામી 13મી નવેમ્બરની મુદત આપવામાં આવી છે.


પ્રવેશ સમિતિના સભ્યો કહે છે કે આ રાઉન્ડ પછી પણ બેઠકો ખાલી પડે તો જે વિદ્યાર્થીઓએ ચોઇસ આપી છે અને પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓે આ ખાલી બેઠકો ઓફર કરવામાં આવશે. આમ, આગામી 20મી નવેમ્બર સુધીમાં ખાલી પડેલી બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ એમ.ડી-આયુર્વેદમાં 90 અને એમડી હોમિયોપેથીમાં 48 બેઠકો પર ચોથા રાઉન્ડમાં પ્રવેશ ફાળવી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *