વડાલિયા પરિવારને સ્ટોન ક્રશરના ધંધામાં 12 ટકા વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા
ફાઈનાન્સના મોટા ધંધાર્થીઓ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ
રાજકોટના મોટાગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે જાણીતા વડાલીયા પરિવાર સાથે રૂા.10.98 કરોડની છેતરપીંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. સ્ટોન ક્રશરના ધંધામાં 12 ટકા વળતરની લાલચ આપી કરોડોની છેતરપીંડી કર્યાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે.
શહેરમાં બિલ્ડરો અને ઉદ્યોગકારોના નાણા વ્યાજે ફેરવતા ત્રણ મોટા ફાઈનાન્સરો ઉઠી ગયાના અહેવાલો વચ્ચે ફાઈનાન્સનો ફણ મોટો વ્યવસાય કરતાં અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે છેતરપીંડીનો ગુનો નોંધાતા આગામી દિવસોમાં વધુ ગુના નોંધાવાની શકયતા દર્શાવાય છે.
મળતી વિગતો મુજબ, શહેરનાં મોટામવા ગોલ્ડન આર્ક ફલેટ નં.902માં રહેતાં અને ગોંડલ રોડ પર વડાલીયા ફુડસ નામે પેઢી ચલાવતાં દર્શન રસિકભાઈ વડાલીયા (ઉ.42)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટામવા ફોર્ચ્યુન એકઝીયોટીક એપાર્ટમેન્ટમાં રહેતા અમીત રમેશ ભાણવડીયા અને વિજય હરિભાઈ માકડીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2019માં દર્શનભાઈનો પરિચય વિજય માકડીયા સાથે થયો હતો. કે જેઓ કપચી ક્રશરની પેઢી ધરાવતાં હોય અને અમીત ભાણવડીયા તેનો ભાગીદાર હોય વિજય માકડીયાએ દર્શનને યુનિવર્સિટી રોડ ખાતે આવેલ ઓફિસે બોલાવી ક્રશર પેઢીમાં રોકાણ કરવાની વાત કરી હતી અને 12 ટકા વળતરની લાલચ આપી હતી. વિજય માકડીયા દર્શન વાડોલીયાના પરિવારના સંબંધી હોય જેથી રોકાણ માટેની વાત કરતાં અમીત અને વિજયએ પોતાની દર્શન મિનરલ્સ, જય સ્ટોન ક્રશર, દર્શિલ સ્ટોન ક્રશરમાં 12 ટકા વળતરની લાલચ આપી સમય મર્યાદામાં રોકાણની મુળ રકમ પણ મળી જશે. તેવું જણાવ્યું હતું.
દર્શનભાઈએ પોતાના તેમજ માતા જયોત્સનાબેન, દાદા ગોકળભાઈ, કાકા નવનિતભાઈ, કાકી નીતાબેન નવનિતભાઈ તથા અન્ય કાકી સાધનાબેન જીવણભાઈ વડાલીયા, કૌટુંબીક દાદા વલ્લભભાઈ વડાલીયા, કૌટુંબીક ભાઈ અંકીત જીવણભાઈ વડાલીયા, કૌટુંબીક કાકા કેતનભાઈ લક્ષ્મીદાસ વડાલીયા, કાકી ગીતાબેન દિપકભાઈ વડાલીયાના એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે અમીત અને વિજય માકડીયાના એકાઉન્ટમાં 10.98 કરોડની રકમ જમા કરાવી હતી. શરૂઆતમાં એક કરોડનું વળતર આપ્યા બાદ અમીત ભાણવડીયા અને વિજય માકડીયાએ રોકાણ કરેલ રૂપિયા આપવાનું વળતર બંધ કરી અલગ અલગ બહાના બતાવ્યા હતાં અને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી.
વાર્ષિક 12 ટકા લેખે વળતરની લાલચ આપી દર્શન વડાલીયા અને તેના પરિવારના સભ્યોના નામે 23/7/2019થી 27-6-2024 સુધીમાં 10.98 કરોડનું રોકાણ કરાવી શીશુમાં ઉતારી બન્ને ભુર્ગભમાં ઉતરી ગયા હતાં.
શહેરના બીલ્ડરો અને ઉદ્યોગકારોના કરોડો રૂપિયા વ્યાજે ફેરવતાં આ મોટા ફાયનાન્સરો ઉઠી જતાં અંતે સમગ્ર મામલો ક્રાઈમ બ્રાંચ પાસે પહોંચ્યો હોય આ મામલે વડાલીયા ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગેની તપાસ ક્રાઈમ બ્રાંચના પીઆઈ સી.એચ.જાદવ, ચલાવી રહ્યાં છે.
આ મામલે હજુ પણ આગામી દિવસોમાં આ ફાઈનાન્સરોનો ભોગ બનેલા મોટા માથાઓ ફરિયાદ કરવા આગળ આવી શકે છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આ બન્ને નો શિકાર બનેલા અન્ય લોકો પણ ફરિયાદ કરવા આવશે તો આંકડો વધી શકે છે.
