ફરિયાદ-સંકલનની બેઠકમાં ધારાસભ્ય ટીલાળાએ બસપોર્ટ અને પ્રવેશ માર્ગો ઉપર ભરાતા પાણીનો પ્રશ્ર્ન ઉઠાવ્યો
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા-શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને બાકી પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના અપાઇ હતી.
સાંસદ રામભાઈ મોકરીયાએ શહેર-જિલ્લામાં વીજ ટ્રાન્સફોર્મરમાં થતા કચરાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેના જવાબમાં જણાવાયું હતું કે, પીજીવીસીએલ દ્વારા 1700થી વધુ ટીસીનો સર્વે કરાયો હતો. જેમાં 1033 ટીસીમાં સફાઈની જરૂૂરિયાત જણાતાં તત્કાલ કામગીરી શરૂૂ કરાઈ હતી અને મોટા ભાગની ટીસીમાં સફાઈ થઈ ગઈ છે, જ્યારે બાકી ટીસીમાં સફાઈ ચાલુ હોવાનું જણાવાયું હતું.
આ તકે ઓસમ ડુંગર પર શૌચાલય બનાવવાની રજૂઆત થઈ હતી. આ દિશામાં તત્કાલ કામગીરી કરવા કલેક્ટર તરફથી સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કેન્સરના દર્દીઓને અપાતી સહાય, બસ પોર્ટમાં પાણી ટપકવાની સમસ્યા, માધાપર ચોકડી સહિતના શહેરના પ્રવેશમાર્ગો પર વરસાદી પાણી ભરાવા અને વરસાદના કારણે પડેલા ખાડાની સમસ્યા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં આ પ્રશ્નો સામે થયેલી કામગીરી અને લેવાયેલા પગલાંની વિગતો રજૂ કરવામાં આવી હતી. બસ પોર્ટમાં પાણી ટપકવાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. જ્યારે પ્રવેશમાર્ગો પરના ખાડા સત્વરે પૂરીને રોડ સમથળ કરવા સંબંધિત વિભાગને સૂચના ક્લેક્ટર દ્વારા આપવામાં આવી હતી.
ધારાસભ્ય ડો. દર્શિતાબહેન શાહે એઈમ્સ પાસે બસ સ્ટેશન બનાવવા અંગેનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેમાં આ બસ સ્ટેશન માટે જમીનનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ધારાસભ્યના પ્રશ્ન સંદર્ભે રાજકોટમાં અશાંત ધારાની મુદ્દત રીન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને તેનો સમયમર્યાદમાં નિકાલ લાવવા કલેક્ટરએ સૂચના આપી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે સર્વ અધિકારીઓને પ્રો એક્ટિવ અભિગમ સાથે કામગીરી કરવા સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબહેન રંગાણી, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબહેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 રાકેશ દેસાઈ, આસિ. ક્લેક્ટર મહેક જૈન, નાયબ વન સંરક્ષક યોગરાજસિંહ ઝાલા, સનદી અધિકારી વૃષાલી કાંબલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, રૂૂડાના સી. ઈ.ઓ. ગૌતમ મિયાણી, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
