મનપાનું બજેટ લોકોના ખિસ્સા ખંખેરનારૂ, ફાયર ટેક્સ ભાજપના ભ્રષ્ટાચારની દેન
પાંચ ટકા લોકો રહે છે ત્યાં જ બ્રિજ, રસ્તા, સીસી રોડની સુવિધા; સાગઠિયા-રાજાણી આગબબુલા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષો નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર દ્વારા 3112.28 કરોડનું ડ્રાફ્ટ બજેટ તૈયાર કર્યું જેમાં અનેક વિસંગતતાઓ છે અને કમિશનરે આ બજેટ જે તૈયાર કર્યું છે તે કોના ઇશારે રજૂ કર્યું છે. તે બજેટ તૈયાર કરવામાં પડદા પાછળ કોણ છે તેની પણ તપાસ થવી જોઈએ કારણ કે કમિશનરે જે બજેટ રજૂ કર્યું છે તેમા પ્રજા પર 150 કરોડનો કર બોજ વર્ષ 2025-26 માં ઝીંકવામાં આવતા બજેટ સંપૂર્ણપણે પ્રજા વિરોધી અને શહેરીજનોના ખિસ્સા ખંખેરવા જેવું છે.
ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન માટે જે ગત વર્ષે 365 રૂૂપિયા હતા તેમાં 400 ટકાનો વધારો કરીને 1460 રૂૂપિયા અને બિન રહેણાંક માં 1460 થી વધારી 2920 રૂૂપિયા કર્યા છે જે આકરો ડામ લગાવવાનું જે સૂચવ્યું છે. વેરાની આવક 450 કરોડથી વધારી 600 કરોડ સુધીની કરતા પ્રજા ઉપર 150 કરોડનો વધારો ઝીકવાનો જે પ્રયાસ છે તે ખરેખર નીંદનીય ગેર વ્યાજબી અને એક તરફી છે કારણ કે નવા કોઈ પ્રોજેક્ટ કરાયા નથી જુના જે પ્રોજેક્ટ હતા તે હાલ પુરા થયા નથી. ગાર્બેજ કલેક્શનમાં અગાઉ સખી મંડળની યોજના હતી તેઓ કચરો પણ લઈ જતા રોડ પણ વાળી જતા પ્રદૂષણ પણ ન થતું અને લોકોના કામ પણ થતા ઓછા ખર્ચે વહીવટ કરવાની પદ્ધતિ રાજકોટ મહાનગરપાલિકાએ શોધવી પડશે અને અપનાવવી પડશે.
મિલકત વેરામાં રહેણાંકમાં રૂા.4 અને કોમર્શિયલમાં રૂા.5 નો વધારો સૂચવાયો છે. છેલ્લે કારપેટ એરિયામાં આકારણીમાં આડકતરી રીતે 35% થી વધુ મિલકત વેરો ઘુસાડી દેવામાં આવ્યો હતો. કારપેટ એરિયા આધારિત પ્રોપર્ટી ટેક્સ ની પદ્ધતિ બાદ વર્ષ 2018 થી ફાયર ટેક્સ રદ કરવામાં આવ્યો હતો નવા નાણાકીય વર્ષમાં રહેણાંકમાં ચોરસ મીટર રૂૂપિયા 15 અને બિન રહેણાંકમાં ચોરસ મીટર દીઠ રૂૂપિયા 25 ફાયર ટેક્સ વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી છે જેનાથી રાજકોટવાસીઓને 55 કરોડનો બોજો પડશે. અગ્નિકાંડની ઇફેક્ટને પગલે જે ફાયર ટેક્સ ઝીંકવામાં આવ્યો છે તે ભાજપના ભ્રષ્ટાચાર ની દેન હોય તેવું લાગી રહ્યું છે.
નવા વર્ષમાં બ્રિજ, રસ્તા, સીસી રોડની સુવિધા જ્યાં શહેરના માત્ર પાંચ ટકા લોકો રહે છે ત્યાં જ મળવાપાત્ર થશે. ગત વર્ષના બજેટમાં 2334 કરોડની આવકના અંદાજ સામે રૂૂપિયા 435 કરોડ ઓછા આવતા ખર્ચમાં 915 કરોડનું ગાબડું પડ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી 123 કરોડનું દેણું શહેરીજનો માથે છે. 1986 થી જળ કટોકટી નું બિલ પણ હજુ બાકી છે. શહેરીકરણના વધતા વ્યાપને પગલે શહેરી વસ્તીને પાયાની મૂળભૂત સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ બનાવવાની જવાબદારી ઘણી મોટી હોય છે પણ તે જૂના ભળેલા વાવડી, કોઠારીયા, માધાપર, મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વરમાં મહાનગરપાલિકાએ તોતિંગ વેરા લીધા પછી પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી.
મહાનગરપાલિકા આગામી વર્ષમાં 740 કરોડ ઊભા કરશે. રાજકીય આકાઓના પગલે અને પોતાના પોતાના ગોડફાદારોની પ્રસિદ્ધિ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1.38 કરોડના ખર્ચે કેલેન્ડર છપાવવામાં આવ્યા છે. પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રાજકોટમાં સાદગી અને માનવતાને તિલાંજલી આપશે. બિનજરૂૂરી ખર્ચાઓ પર કાપ મુકે કરોડોની રોશની અને ફુલહાર અને તાયફાઓ બંધ કરી સાદગી, માનવતા અને સોલાર સિસ્ટમ રાજકોટ મહાનગરપાલિકા અપનાવે તો રાજકોટના રહેવાસીઓ દુ:ખી નહીં પણ સુખી થશે. કોન્ટ્રાક્ટ પ્રથાના મૂળમાં જો વધારે ભાવ ભરાતો હોય તો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી તમામ કામ રાજકોટમાં મહાનગરપાલિકા જાતે જ કરે જેથી કરીને પ્રજાને આકરો ટેક્સ ચૂકવવા ન પડે.
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી જ્યાં માનવી ત્યાં સુવિધા ની વાતો કરી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ના ભોરિંગ ભરડામાં શાસકો બજેટ ને ચૂંટણીલક્ષી ટચ નહીં આપે અને કમિશનરે સૂચવેલો બોજ ફગાવશે નહીં તો જોયા જેવી થશે ભાજપના રાજકીય ગોડ ફાધરો દિલ્હી અને ગાંધીનગરમાં બેઠા છે તેના દ્વારા હવે કોઈ કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટને કોઈ ગ્રાન્ટ મળવાની ન હોવાને પગલે પ્રજા પર 150 કરોડનો બોજ લાદવાનો પ્રયાસ છે.
આજી રિવરફ્રન્ટ જેવી મહત્વની યોજના પડતી મૂકી દેવાય છે અગાઉ વર્ષો સુધી આજે રિવરફ્રન્ટના નામે થોક બંધ બેઠકો કરી હતી, રિવરફ્રન્ટ ના નામે સલાહ લેવામાં પણ લાખો રૂૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હતું અને આજી રિવરફ્રન્ટ યોજના, વર્ષો જુના રામનાથ મહાદેવ મંદિરના નામે કોરિડોર યોજનાઓ મૂકી નાણા દરેક બજેટમાં રાખવામાં આવ્યા હતા. મેટ્રો ટ્રેન અંગે લોલીપોપ દર્શાવવામાં આવી હતી અને રાજકોટ વાસીઓને હથેળીમાં ચાંદ બતાવવામાં આવ્યો હતો.
ફાયર ટેક્સ અને અન્ય જે આકરો વધારો ઝીંકવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે નાબૂદ થવો જોઈએ કારણ કે હાલ મોંઘવારીએ માઝા મૂકી છે આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે જે સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે. અને છતાં રાજકોટ મહાનગરપાલિકાને વેરા વધારવાનો અભરખો જાગ્યો હોય તો હાઇરાઇઝ બિલ્ડીંગો, ખાનગી સ્કૂલો, ક્લાસીઝો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષમા વધારો ઝીંકી શકાય. બાકી સામાન્ય અને ગરીબ માણસોને આજે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યું છે ત્યારે આ પ્રકારના વેરા રાજકોટ વાસીઓ ગામડામાં જવા પ્રેરાશે. તેમ અંતમાં રાજાણી અને સાગઠીયા ની યાદીમાં જણાવાયું છે.
