અરાજકતા નડી: ગુજરાતમાંથી નેપાળની મોટાભાગની ટ્રીપ કેન્સલ

દિવાળી વેકેશનથી સિજનમાં જ નેપાળ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો, અઠવાડિયામાં જ 80 ટકા બુકીંગ રદ “વિકલ્પે થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, દુબઈની પુછપરછમાં વધારો” નેપાળમાં છેલ્લા દિવસોમાં…

દિવાળી વેકેશનથી સિજનમાં જ નેપાળ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો, અઠવાડિયામાં જ 80 ટકા બુકીંગ રદ

“વિકલ્પે થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, દુબઈની પુછપરછમાં વધારો”

નેપાળમાં છેલ્લા દિવસોમાં ફાટી નીકળેલી હિંસા અને રાજકીય અસ્થિરતાએ ગુજરાત સહિત ભારતના પ્રવાસીઓની દિવાળી વેકેશનની યોજના ખોરવી નાખી છે. કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં હિંસા, પ્રદર્શન અને તણાવ સર્જાતા એરપોર્ટ તેમજ જાહેર પરિવહનની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેથી હજારો વિદેશી પ્રવાસીઓ નેપાળમાં ફસાઈ ગયા હતા. અમદાવાદ સહિત ગુજરાતના 500થી વધુ પ્રવાસીઓને ખાસ વ્યવસ્થા કરીને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. દિવાળી વેકેશન દરમિયાન કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં નેપાળનું બુકિંગ કરાવતા હતા, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે મોટા ભાગે પોતાના પ્રવાસ રદ કરી દીધા છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયામાં નેપાળ માટે બુક થયેલી 80 ટકા ટૂર કેન્સલ થઈ ગઈ છે.

પ્રવાસીઓ હવે નેપાળના બદલે અન્ય સુરક્ષિત પ્રવાસન સ્થળોની ઇન્ક્વાયરી કરી રહ્યા છે. ટૂર ઓપરેટર રમેશભાઈ રાઠોડના જણાવ્યા મુજબ નેપાળની ઘટનાના પછી થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર અને દુબઈ માટેની ટૂર પેકેજની પૂછપરછ અચાનક વધી ગઈ છે. ખાસ કરીને યુવાન પ્રવાસીઓ તથા હનીમૂન કપલ્સ પોતાની ટ્રિપને આ દેશોમાં ફેરવી રહ્યા છે. એરલાઈન્સ અને ટૂર કંપનીઓ માટે આ સ્થળોની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.

વિદેશ ન જવા ઇચ્છતા ઘણા ગુજરાતીઓ દેશના લોકપ્રિય સ્થળોની તરફેણ કરી રહ્યા છે. ગોવા, કેરળ અને રાજસ્થાન માટેની ઇન્ક્વાયરીમાં મોટો વધારો થયો છે. કુદરતી સૌંદર્ય, દરિયાકિનારો તથા ઐતિહાસિક વારસો ધરાવતા આ સ્થળો સલામત હોવાને કારણે પ્રવાસીઓ માટે મુખ્ય પસંદગી બની રહ્યા છે. જો કે, હિમાચલ અને કાશ્મીરમાં ભારે વરસાદ તથા કુદરતી આફતોને કારણે પ્રવાસીઓ ત્યાં જવા સંકોચ અનુભવી રહ્યા છે. નેપાળની આવી તરલ પરિસ્થિતિને કારણે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડી રહ્યો છે. સાથે સાથે હવે દિવાળીના પ્રવાસનું આયોજન કરી રહેલા પ્રવાસીઓ માટે ટૂર મોંઘી પણ પડી રહી છે.

ટૂર ઓપરેટર પલક પટેલના જણાવ્યા મુજબ, જાપાનમાં ચેરી બ્લોસમ જોવા માટે પણ ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને માર્ચથી એપ્રિલ દરમ્યાન થતો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ અત્યંત લોકપ્રિય છે. હાલ નેપાળની સ્થિતિ બગડતા ઘણા મુસાફરો દિવાળીમાં જાપાનની મુલાકાત લેવાનું નક્કી કરી રહ્યા છે. સાકુરાના ગુલાબી-સફેદ ફૂલોથી ભરાયેલા બગીચા, નદીકિનારા અને ઐતિહાસિક મંદિરો પ્રવાસીઓને આકર્ષે છે.

ટૂર ઓપરેટર વિપુલ પટેલના જણાવ્યા મુજબ, જે લોકોએ નેપાળની ટૂર રદ કરી છે તેઓ હવે કેરળાને પ્રથમ પ્રાધાન્ય આપી રહ્યા છે. કેરળા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, બેકવોટર, દરિયાકિનારો અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પ્રવાસીઓને આકર્ષે છે. ભારતમાં જ હોવાથી સલામતીની ચિંતા ઓછી રહે છે અને સાથે જ બજેટમાં ટૂર થઈ જાય છે.ટૂર ઓપરેટર ધ્રુમન પટેલ જણાવે છે કે, લોકો નેપાળની બદલે હવે થાઈલેન્ડ પર ફોકસ કરી રહ્યા છે. થાઈલેન્ડમાં કુદરતી સુંદરતા, દરિયો, આધુનિક શહેરો અને સ્વચ્છ વાતાવરણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ખાસ કરીને યુવાન પ્રવાસીઓ અને હનિમૂન કપલ્સ થાઈલેન્ડને તેમની પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *