લાલા બિહારીના ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજે

લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા…

લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન

ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે

અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા મહેબૂબ પઠાણ ઉર્ફે લાલા બિહારીએ અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવને મીની બાંગ્લાદેશ બનાવી દીધું હતું. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લાલા બિહારીને લઇને અનેક મોટા ખુલાસાઓ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે લાલા બિહારીની ચાર પત્નીઓ છે અને ચારેય અલગ અલગ ઘરમાં રહેતી હતી. મળતી જાણકારી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનાર લાલા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. અંદાજે 9 લાખ 50 હજારની રોકડ તથા સોના ચાંદીના દાગીના ઉપરાંત હિસાબના ચોપડા પણ મળી આવ્યા હતા. બેન્કની પાસબુક સહિતના દસ્તાવેજો હાથ લાગ્યા હતા.

ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરીને મકાન ભાડે આપીને મોટાપાયે કાળો કારોબાર કરનાર લલ્લા બિહારીના સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં લલ્લા બિહારીની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઇમબ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ક્રાઇમબ્રાંચે લલ્લા બિહારીના કાળા કારોબારની ચોંકાવનારી વિગતો એકઠી કરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે લલ્લા બિહારીની ચાર પત્ની દાણીલીમડા વિસ્તારમાં રહે છે. પોલીસે તેની ચારેય પત્ની જમીલાબાનું, ફિરોઝાબાનુ, તમન્ના અને રૂૂખશાનાબાનુના નિવેદન નોંધ્યા હતા. સાથે સાથે તેમના ચારેય મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસને નુરે અહેમદી સોસાયટીના મકાનમાં નાણાં ગણવાનું મશીન મળી આવ્યું હતું.

તેમજ ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ મળી આવ્યા હતા. આ ઉપરાંત, મોટાપ્રમાણમાં રોકડ અને સોના દાગીના પણ જપ્ત કરાયા હતા. આમ, થેલા ભરીને મળી આવેલા દસ્તાવેજ પોલીસ માટે મહત્વની બની રહેશે અને ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.ઉલ્લેખનીય છે કે લગભગ અઢી દિવસની કામગીરી બાદ ઓપરેશન ચંડોલાને ગુજરાત સરકાર દ્વારા અચાનક જ આટોપી લેવાયું અને તમામ બુલડોઝર અને રોડ ડમ્પર ઘટનાસ્થળેથી ગાયબ જ થઇ ગયાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે આ કોના ઈશારે થયું છે તે ચર્ચાનો વિષય છે. આ મામલે રાજકીય દબાણ આવ્યાની પણ ચર્ચા છે.

નોંધનીય છે કે, વિપક્ષના નેતા સહેઝાદખાન પઠાણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે લાલા બિહારીને પ્રશાસન દ્વારા છાવરવામાં આવ્યો હતો, જેના કારણે તે મોટો ગુનેગાર બન્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2021 અને 2023માં ચંડોળા તળાવના દબાણ અંગે પોલીસ અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં લાલા બિહારી ઉપરાંત ગની પથ્થરવાળા અને હુસૈન ઉર્ફે કાલુના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *