જેતપુરના ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે ધૂળેટી પર્વની આગલી રાતે એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લેતાં ચાર યુવક ઇજાગ્રસ્ત થયા હતાં. જેમાં બે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા જેમાં એકનું જૂનાગઢ સરકારી હોસ્પિટલે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
મંગળવાર રાત્રીના સમયે ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે એક કાર ચાલકે એક એકટીવા અને એક બાઇક એમ બે વાહન પર જતાં ચાર યુવાનને અડફેટે લેતા ચારેયને ઇજા પહોંચી હતી. જેમાં ચારેયને પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યાં પ્રાથમિક સારવાર આપી બે યુવાનની હાલત ગંભીર હોવાથી તેઓને રીફર કરવામાં આવ્યા હતાં. જેમાં બે યુવાનમાં કિશોર સાયરીયા નામના યુવાનની સારવાર કારગત ન નિવડતા મોત નીપજ્યું હતું.
અકસ્માત જે કારે સર્જ્યો હતો તે કારનો ચાલક તો અકસ્માત સર્જીને બનાવ સ્થળેથી નાસી ગયો હતો. ત્યાં સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તે લોકોએ કારમાં અંદર જોતા અંદર ચાલકની બાજુની સીટ પર દેશી દારૂૂની ખાલી કોથળી પડેલી મળી આવી હતી. હાલ તો ઉદ્યોગ નગર પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
