વડીયામાં સુરગપરામાં આજે લગ્ન પ્રસંગ દરમિયાન એક વરઘોડામાં કોઈ કારણે બબાલ મચી હતી. જેના કારણે છુટા હાથની મારામારી થતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી અને વરઘોડો પણ અટકી ગયો હતો.
હજુ ધારી તાલુકાના ખીસરી ગામે એક લગ્ન પ્રસંગમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે જમણવારમાં રોટલી પીરશવાના મુદ્દે મારામારીની ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચ્યાની અને જાન લીલાતોરણે પાછી ગયાની ઘટના તાજી છે. ત્યા આજે વડીયાના સુરગપરા વિસ્તારમાં વરઘોડા દરમિયાન મારામારીની ઘટના બની હતી.
અહીં લગ્ન પ્રસંગ દરમિયાન ખેતાણી રોડ પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં કોઈ કારણે મહેમાનો વચ્ચે ડખો થઈ ગયો હતો અને આ ડખો મારામારીમાં પલટાયો હતો. જે લોકો રાસ-ગરબા લેતા હતા. તેની વચ્ચે મારામારી અને ગાળા-ગાળી થતા ડીજેના સુર પણ અટકી ગયા હતા. થોડાવાર અહીં નાસ ભાગ મચી ગયા જેવી સ્થિતિ ઘટનાને પગલે વરરાજા પણ અહીંથી નીકળી ગયા હતા. જો કે બાદમાં મામલો થાળે પડ્યો હતો અને આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી.
