રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દિવસે દિવસે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ભક્તિધામમાં રહેતાં યુવકને ચાર શખ્સોએ ‘તું અમારી દારૂની બાતમી પોલીસને કેમ આપે છે’ તેમ કહી બાઈકમાં અપહરણ કર્યુ હતું. અપહરણ કરનાર ચારેય શખ્સોએ યુવકને જુદા જુદા ત્રણ સ્થળોએ લઈ જઈ સવા કલાક સુધી માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં મવડી વિસ્તારમાં 40 ફુટ રોડ પર આવેલ ભક્તિધામ-2માં રહેતાં દિલીપભાઈ હંસરાજભાઈ ગોંડલીયા નામનો 35 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં મવડી વિસ્તારમાં આવેલ બાપા સિતારામ ચોક પાસે આદર્શ બિલ્ડીંગ નજીક હતો ત્યારે વૈભવ રાજપૂત અને ધવલ સહિતનાં બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી કડા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસમાં જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત દિલીપ ગોંડલીયા સાંજના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે દારૂનો ધંધો કરતાં વૈભવ રાજપુત અને ધવલ સહિતનાં ચારેય શખ્સો બાઈક સાથે ધસી આવ્યા હતાં. ચારેય શખ્સોએ ‘તું અમારી દારૂની બાતમી પોલીસને કેમ આપે છે’ તેમ કહી બાઈકમાં બેસાડી અપહરણ કરી ભવનાથ સોસાયટીમાં લઈ ગયા હતાં. જ્યાં માર માર્યો હતો. જ્યાંથી આદર્શ બિલ્ડીંગની પાછળ લઈ જઈ માર માર્યો હતો. જ્યાં હોબાળો થતાં લોકો ભેગા થઈ જતાં ચારેય શખ્સોએ ત્યાંથી દિલીપ ગોંડલીયાને બાઈકમાં ઉઠાવી જઈ બાલાજી હોલ નજીક લઈ ગયા હતાં. જ્યાં માર માર્યો હતો અને ઈજાગ્રસ્ત યુવકને મુકી ચારેય શખ્સો નાસી છુટયા હતાં. સવા કલાક સુધી ચારેય શખ્સોએ અપહરણ કરી જુદા જુદા ત્રણ સ્થળે લઈ જઈ માર માર્યો હોવાનું દિલીપ ગોંડલીયાએ આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
