જેતપુરના નાજાવાળાપરામાં રહેતાં નામચીન બુટલેગરે અવારનવાર આતંક મચાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હોય ગુનાહિત ઈતિહાસ ધરાવતાં બુટલેગરને રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે. પોલીસે આ કુખ્યાત શખ્સને કાયદાનુ ભાન કરાવ્યું હતું.
જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જિલ્લામાં અસામાજિક તત્વોની પોલીસે યાદી તૈયાર કરી આવા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ, જુગાર, તેમજ શરીર સંબંધી અને મિલ્કત સંબંધીત ગુનામાં સંડોવાયેલા તેમજ ગેરકાયદેસર ખનન સહિતની પ્રવૃતિમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હોય જેમાં જેતપુરના નાજાવાળાપરામાં રહેતા મુકેશ વસતા કાતરાણી નામનો શખ્સ અવારનવાર લોકોમાં ભય ફેલાવતો હોય દારૂના ગુનામાં સંડોવાયેલ મુકેશને રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે. પીઆઈ વી.એમ.ડોડીયા તથા એ.ડી.પરમાર સાથે સ્ટાફના ભાવેશભાઈ ચાવડા, સાગરભાઈ મકવાણા, શક્તિસિંહ ઝાલા, અમીતભાઈ સિધ્ધપરા, સાગરભાઈ ચાપડીયા, લખુભા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
