જ્યા જીંદગીનો સવાલ હોય તેવી ગંભીર બાબતમાં પણ લીપાપોતી કરવામા આવે એવુ રાજકોટ મહાનગરપાલિકામાં જ જોવા મળે. કોઇ પણ પ્રકારની સિરિયસતા નહીં. પ્રજાને જે થવાનુ હોય તે થાય! આવુ જ ગુનાહિત નિંભરતા શહેરના કાલાવડ રોડ પર રક્તપિશાચુ અને વારંવાર તરવૈયાઓનુ લોહી માગતા સ્વીમીંગ પુલની દુર્દશા બાબતે દાખવવામા આવી રહી છે. તરવૈયાઓના પગના તળિયા ચિરાય જાય. ટાંકા આવે, ડાયાબીટીસ ધરાવતા તરવૈયાઓ ઘાયલ થઇને ગેંગરીનનો શિકાર બની જાય, કોઇ તરવૈયા ઉંભા માથે પટકાય અને તલવારથી પણ ધારદાર લાદી જીવ લઇ લે તેવી હાલત હોવા છતા હજુ પણ થુંકના થીંગડા મારીને કામ ચલાવવાની જોખમી નીતિ દાખવવામા આવી રહી છે.
કાલાવડ રોડ સ્વીમીંગ પુલમાં તળિયેથી લાદી ઉખડવા લાગી છે. લાદીની કોર તલવારથી પણ તિક્ષ્ણ ધારદાર હોય તરવૈયાઓ લોહીલુહાણ થઇ રહ્યા છે. અહીં ઉનાળાની સિઝનમાં 4500થી વધુ અને હાલ ઓફ સિઝનમાં પણ બાળકો સહિત અઢી હજારથી વધુ તરવૈયાઓ આવી રહ્યા છે. સ્વીમિંગ પુલ લોહી તરસ્યો બનતો જાય છે. આ સ્વિમિંગ પૂલ જાણે કોઈનો બલી લેવાની રાહ જોઈ રહ્યો હોય તેમ મ્યુનિસિપલ કમિશનર, સિટી ઈજનેર અને મેયર સહિતના પદાધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે તેવો આક્રોષ તરવૈયાઓમાં ફાટી નીકળતા મામલો મેયર ડો.નેહલ શુકલ સુધી પહોંચતા ગઇકાલે સાંજથી અધિકારીઓને દોડતા કરવામા આવ્યા છે.
આજે સવારે પણ બાંધકામ શાખાના ઇજનેરો સ્વીમીંગ પુલ ગયા હતા. તંત્રની નિર્લજ્જતાની પરાકાષ્ઠા તો ત્યારે સામે આવે છે જ્યારે ડિમોલિશન જેવી કામગીરી વખતે ગરીબ અને બેઘર બનેલા પરિવારો હૈયાફાટ રુદન કરતા હોય છે, અને બીજી તરફ આ જ અધિકારીઓ પ્રજાના લોહી-પસીનાના પૈસે કાજુકતરી અને રજવાડી ભોજનના બેફામ ખર્ચા કરીને જલસા કરે છે. જ્યારે કાલાવડ રોડ સ્વિમિંગ પૂલના અત્યંત જરૂૂરી રીનોવેશન માટે તંત્ર પાસે બજેટ નથી.
હજુ પણ તંત્રને જાણે ગંભીરતા સમજાતી ન હોય તેમ સ્થળ તિરિક્ષણ કરવા આવેલા અધિકારીઓએ એવો અભિપ્રાય આપ્યો હતો કે, હાલ તળિયે જ્યા લાદી ઉખડી ગઇ છે, લાદી ફાટી ગઇ છે, મગરમચ્છના જડબાની જેમ તરવૈયાઓના તળિયા ચીરવા માટે લાદી જાણે રાહ જોઇ રહી હોય તેવી હાલત વચ્ચે પણ સ્વીમીંગ પુલના તળિયામાં થીંગડા મારી કામ ચલાવવા માટેનો નિર્ણય સુચવવામા આવ્યો છે. એક રીતે કોઇની જીંદગીનો સાવલ છે તેવી બાબતમાં થુંકના થીંગડા મરવાની દાનત તંત્ર દાખવી રહ્યુ છે.
