rajkot
ડબ્બા ટ્રેડિંગનો રેલો અનેક MSME સુધી, મોટા રેકેટની શંકા
રાજકોટ સહિત ગુજરાતમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગ ઉપર સેબીની ટુકડીઓએ સતત બે દિવસ સુધી પાડેલા દરોડા દરમિયાન રાજકોટ સહિત ગુજરાતની કેટલીક મિડિયમ-સ્મોલ એન્ડ માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ (MSME)ના શેરમાં વધ-ઘટ કરી કરોડોના કાળા-ધોળા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આગામી દિવસોમાં ડબ્બા ટ્રેડર્સો મારફત શેરમાં ઉથલ-પાથલ કરનાર એમ.એસ.એમ.ઈ. ઉપર સેબીની તવાઈ ઉતરે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કંપનીઓના શેરના ભાવમાં ઉથલપાથલ કરતાં બે મોટા ઓપરેટરોને ત્યાં સેબીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ, સુરત તથા વડોદરામાં આ ઓપરેટરોની બ્રાંચો ઉપર સેબી દ્વારા દરોડા પાડવામાં આવતાં તેનું પગેરૂ રાજકોટ સુધી પહોંચ્યું હતું અને ગઈકાલે વહેલી સવારે સેબીની એક ટીમ રાજકોટ આવી હતી. રાજકોટમાં પોલીસનો બંદોબસ્ત સાથે રાખી 80 ફુટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલી સનફલાવર બ્રોકીંગમાં કામ કરતાં હર્ષ રાવલ નામના શખ્સને કાલાવડ રોડ ખાતે આવેલા ફલેટમાંથી ઉપાડી લીધો હતો અને તેને ત્યાંથી લેપટોપ સહિતની શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી હતી.
આ શખ્સની પુછપરછમાં અને લેપટોપની તપાસ દરમિયાન જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા સલીમ નામના શખ્સના બેંક ખાતામાં મોટી લેવડદેવડ થયાનું ધ્યાનમાં આવતાં સેબીની ટીમ જંગલેશ્વર વિસ્તારમાં સલીમના ઘર ઉપર ત્રાટકી હતી અને સલીમ વિશે પુછપરછ કરતાં સલીમ તેના ઘરે છેલ્લા બે વર્ષથી આવ્યો નહીં હોવાનો જવાબ મળતાં સેબીએ સલીમ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.
બીજી તરફ શહેરના કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં ઓફિસ ધરાવતાં એક બ્રોકર પણ આ શેર સટ્ટાની રમતમાં સામેલ હોવાનું ધ્યાન પર આવતાં સેબી દ્વારા તેની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી અને કેટલુક સાહિત્ય કબજે કરવામાં આવેલ છે. સેબી દ્વારા રાજકોટના બે થી ત્રણ શંકાસ્પદ ઓપરેટરોને ત્યાં તપાસ કરી કેટલુંક સાહિત્ય તથા લેપટોપ કબજે કરવામાં આવેલ છે જેના આધારે આગામી દિવસોમાં ડબ્બા ટ્રેડીંગ દ્વારા ‘પાટીયા’ પેઢીઓના મામુલી રકમના શેરના ભાવમાં મોટી ઉથલ પાથલ કરવાનું રેકેટ બહાર આવવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે સેબીએ દરોડા પાડી લેપટોપ સહિતનું જે સાહિત્ય કબજે કરેલ છે તેની તપાસ બાદ રાજકોટ સહિત ગુજરાતની કેટલીક એમ.એસ.એમ.ઈ. સુધી રેલો પહોંચવાની પુરેપુરી શકયતા છે. સુત્રોના કહેવા મુજબ રાજકોટની લગભગ અડધો ડઝન જેટલી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મોટી ઉથલપાથલ જોવા મળી છે. આ તમામ એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીઝ સેબીના રડારમાં આવી ગઈ છે અને આવી કંપનીઓ ઉપર ગમે ત્યારે સેબીની તવાઈ ઉતરે તેવા ભણકારા વાગી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ, શેર સટ્ટાની આ રમતના કૌભાંડનું એપી સેન્ટર અમદાવાદમાં હોવાનું ખુલી રહ્યું છે. અમદાવાદના બે મોટા ગજ્જાના ઓપરેટર પોતાની રાજકોટ, સુરત, વડોદરા અને જામનગર સહિતની બ્રાંચો મારફત ચોક્કસ એમ.એસ.એમ.ઈ. કંપનીના શેરમાં મોટી ઉથલપાથલ કરી મોટી રકમનું કમિશન મેળવી રહ્યાનું બહાર આવ્યું છે.
ચોક્કસ કંપનીઓ માત્ર કાગળ ઉપર ચાલતી હોવા છતાં તેના શેરની કિંમત 10 થી 20 ગણી ઉછાળી કંપનીઓના પ્રમોટરો શેર વેચી મોટી રકમની મલાઈ તારવી લેતાં હોવાનું આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જો કે આટલા લાંબા સમય બાદ સેબીના ધ્યાનમાં આ રેકેટ આવ્યું તે બાબત પણ ઘણા બ્રોકરો શંકાની નજરે જોઈ રહ્યાં છે. જાણકારોનું કહેવું છે કે હાલમાં શેરબજારમાં ચાલી રહેલી તેજીની વહેતી ગંગામાં હાથ ધોવા અનેક કૌભાંડીયાઓ સક્રિય છે. રોકાણકારોની અજ્ઞાતાનો લાભ લઈ ચોક્કસ કંપનીઓમાં રોકાણ કરાવ્યા બાદ પ્રમોટરો ઉંચા ભાવે પોતાના શેર વેચી નાખે ત્યા પછી ફરી શેરની કિંમત ‘કાગળીયા’ જેવી કરી નાખવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે અને આ કૌભાંડમાં અનેક નાના રોકાણકારોના કરોડો રૂપિયા અત્યાર સુધીમાં ડૂબી ગયા છે.
શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલા આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તો ગુજરાતની 50 થી 60 જેટલી એમ.એસ.એમ.ઈ. કંપનીઓ સુધી રેલો પહોંચવાની પુરી શકયતા છે. જો કે હાલ સેબી દ્વારા જે બે ઓપરેટરોના નેટવર્ક ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેની અન્ય કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ અંગે સેબી દ્વારા કોઈ ફોડ પાડવામાં આવે છે કે કેમ ? તે તરફ શેર બ્રોકરોની નજર છે.
રૂા.10ની કિંમતના શેર રૂા.650 સુધી પહોંચ્યા
શેર બજારમાં તેજીનો લાભ લઈ ઈન્વેસ્ટરોના ખિસ્સા ખંખેરવાના આ ખેલમાં રાજકોટ સહિત ગુજરાતની કેટલીક ચોક્કસ એમ.એસ.એમ.ઈ.ના શેરના ભાવમાં છેલ્લા બે વર્ષમાં 10 થી 20 ગણી ઉથલપાથલ જોવા મળી છે. અમુક કંપનીઓના રૂા.10ના ભાવના શેર રૂા.650 સુધી પહોંચી ગયા હતાં તો અમુક કંપનીઓના રૂા.10 ના ભાવના શેર રૂા.360 સુધી જોવા મળ્યા હતાં. આવી કંપનીઓના શેરના ભાવમાં થયેલી વધઘટ અંગે તપાસ કરવામાં આવે તો હાલ અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા હોવાનું બહાર આવે તેમ છે. ચોક્કસ એમ.એસ.એમ.ઈ.ના સંચાલકો શેરનો મોટો હિસ્સો પોતાની પાસે રાખી નાના હિસ્સામાં ઓપરેટરો મારફત મોટી રકમની વધઘટ કરાવે છે અને કહેવાતા નિષ્ણાંતો મારફત ટીપ્સ આપી રોકાણકારોને શિશામાં ઉતારે છે. શેરની કિંમત ચોક્કસ ભાવ સુધી પહોંચે ત્યારે સંચાલકો પોતાનો હિસ્સો ઉંચા ભાવે વેચી રોકડી કરી લે છે અને ઈન્વેસ્ટરોને શેર વેચવાનો સમય પણ મળતો નથી જેના કારણે શેરના ભાવ તળીયે જાય ત્યારબાદ ઈન્વેસ્ટરો વેચવા મજબુર થાય છે.
rajkot
મનપાના આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા અંતે સસ્પેન્ડ
ગુજરાત મિરર, રાજકોટ તા.5
મહાનગરપાલિકામાં આસી. ટીપીઓ તરીકે ફરજ બજાવતા અને ત્યાર બાદ અન્ય વિભાગમાં બદલી પામેલા રાજેશ મકવાણાએ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડા કરતા તેની ધરપકડ કરવામાં આવેલ આથી નિયમ મુજબ મ્યુ.કમિશનરે આજરોજ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો હતો.
અગ્નિકાંડ બાદ મકવાણાની વોર્ડ નં.10 માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
સસ્પેન્શન સમય દરમિયાન મજુકર અર્ધપગારી રજા પર હોય અને જે પગાર મેળવે તે પગાર જી.સી.એસ.આરની ક્લમ 151ની જોગવાઇ અનુસાર નિર્વાહ ભથ્થા તરીકે મેળવશે. રાજેશ નરશીભાઇ મકવાણાએ સસ્પેન્શ સમય દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.)માં નિયમિતપણે હાજરી પુરવાની રહેશે. હાલ મજકુર કર્મચારી જ્યુડિશિયલ કસ્ડીમાં હોય, તે સમયગાળા પુરતું હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ સસ્પેન્શન સમય દરમ્યાન કોઇપણ જગ્યાએ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં અને તે બાબતનું પ્રમાણપત્ર દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી કરતા પહેલા લગત શાખાધિકારીએ મકવાણા પાસેથી મેળવવાનું રહેશે.
rajkot
રાજકોટ નજીક પીપળિયા ગામે ધમધમતી નકલી શાળા ઝડપાઇ
ગુજરાત મિરર, રાજકોટ,તા.5
ગુજરાતમાં બે વર્ષથી નકલી કચેરીઓ, નકલી બીયારણો, નકલી અધિકારીઓ સહીત નકલી ખાદ્ય ચીજો પકડાઇ રહી છે. ત્યારે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજકોટમાં માલીયાણ નજીક આવેલ પીપળીયા ગામમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી નકલી શાળા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નકલી શાળાને શીલ મારવામાં આવ્યું છે અને શાળા ચલાવતા દંપતીને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના માલીયાસણ નજીક આવેલ પીપળીયા ગામની નવીનનગર સોસાયટીમાં ચાર દુકાનો ભાડે રાખી અને મધ્યપ્રદેશનું દંપતી સંદિપ તિવારી અને તેની પત્ની કાત્યાની તિવારી કોઇપણ મંજુરી વગર દરરોજ 1 થી 10ની માન્યતા વગરની ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ચલાવી રહ્યા હોવાની ફરીયાદ મળતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હકિકત સામે આવી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા મધ્યપ્રદેશના દંપતીની અટકાયત કરાઇ છે અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે ચાર દુકાનમાં ચાલતી શાળાને શીલ મારી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ત્યાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. તેઓને હાલ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કટીબધ્ધતા દાખવવામાં આવી છે અને તેમને ન્યાયીક રીતે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવશે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશનું આ દંપતી એક મોડસ ઓપરેન્ડી ચલાવતું હતું જેમાં અહીં શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા હતા અને તેમની પાસેથી ફી ઉઘરાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં તેઓના એડમીશન કરવામાં આવતા હતા. માન્યતા પ્રાપ્ત શાળાઓ સાથે તેઓનું સેટલમેન્ટ ચાલતું હતું જેમાં કેટલાક ટકા ફીનો હિસ્સો આ શાળાઓને આપવામાં આવતું હતું. આ કૌભાંડ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડા પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના નાક નીચે છેલ્લા છ વર્ષથી ધમધમતી નકલી શાળા ઝડપાતા વાલીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. 2018થી એડમીશન લેનાર અને ત્યાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ વાલીઓમાં તંત્ર સામે સવાલ ઉઠયો છે. શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની વ્યથા વાલીઓ ઠાલવી હતી.
rajkot
સૌ.યુનિ.ના ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ બનતા ડો.ડોડિયાડો.નિલાંબરીબેન દવેને હટાવાયા
2018માં ચાર મહિના ડો.ડોડિયા કરી ચૂક્યા છે વહીવટ; ત્રણ નામો રદ કરી નવા મગાવાયા
ગુજરાત મિરર, રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.નિલાંબરીબેન દવેને હટાવી અને ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડો.કમલ ડોડીયાએ આજે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળી અને વહીવટી કામનો પ્રારંભ કરી દીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને ઓક્ટોબર 2023ની આસપાર ઇન્ચાર્જનો હવાલો સોંપાયો હતો પરંતુ આઠ મહિનામાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેમની પાસેથી ઇન્ચાર્જનો હવાલો પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને ફરી એક વખત રાજકોટ પી.ડી.યુ. મેડિક્લ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે.
ડો.કમલ ડોડીયા અગાઉ 2018માં ફેબ્રુઆરી મહિનાથી મે-2018 ચાર માસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વહીવટ કરી ચૂક્યા છે. તે સમયે મેડિક્લમાં પાસ થવા માટે રૂા.2.50 લાખની માંગણી કરતો સુરેન્દ્રનગરથી સી.યુ.શાહ મેડિક્લ કોલેજનો વિડીયો વાઇરલ થયો હતો અને તે સમયે આંતરિક ખેંચતાણ થતા ભાજપના એક તત્કાલીન સિન્ડિકેટ સભ્ય દ્વારા ડો.કમલ ડોડીયા વિરૂદ્ધ મોરચો માંડયો હતો અને તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વખત તેમને ચાર્જ સોંપવામાં આવતા અને આ મુદ્દે કેમ્પસમાં ચર્ચા થઇ રહી છે.
માત્ર આઠ માસમાં જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને હટાવી લેતા અનેક ચર્ચાઇ જોર પક્ડયું છે. તેમાં કેટલાક નિતિ વિષયક નિર્ણયો લેવામાં નબળા પૂરવાર થયા છે. અગાઉ પણ તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં પણ પેપરો લીક થયા હતા. કોલેજ જોડાણની 500થી ફાઇલો હતી. નિર્ણય વગર જ પેન્ડિંગ પડી છે. ઉપરાંત ચીફ એકાઉન્ટ ઓફિસરના બદલે ઓડિટરની નિયુક્તિ કરી નાખી તેમજ પીએચ.ડીની પરીક્ષા મોડી લધી. નવા કાયદા મુજબ એક્ઝિયુટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના મોડી કરી હોવા સહિત અનેક કામગીરી ક્ષતિ રહીત રહી હોવાની ચર્ચા.
શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટી રચી અને તેના દ્વારા નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં ડો.સચિન પરીખ, ડો.નિલાંબરીબેન દવે અને ડો.મુર્થીના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ નામો રિજેક્ટ કરાયા છે અને કમીટીને ફરીથી નામો મોકલવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણને સંભાળી શકે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તેવા કાયમી કુલપતિ સરકારને હજુ મળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણના બદલે રાજકારણ વધી ગયું છે અને ભાજપ સામે ભાજપનું જુથ જ સક્રિય બન્યું છે ત્યારે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં થઇ રહી છે.
ફેબ્રુઆરી-2022થી સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જનો વહીવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિને વહીવટ સોંપાયો છે. અગાઉ 2022માં ડો.નિતિન પેથાણીની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે ફેબ્રુઆરી-2022માં આંકડાશાસ્ત્રના અધ્યક્ષ ડો.ગીરીશ ભિમાણીને ચાર્જ સોંપાયો હતો અને તેઓ દોઢ વર્ષ રહ્યા બાદ તેમને હટાવી અને ડો.નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો હતો. આમ છેલ્લા અઢી વર્ષ ચાર્જમાં વહીવટ થયા બાદ ત્રીજી વખત પણ ઇન્ચાર્જને ચાર્જ સોંપાયો છે.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ