ઉપલેટા તાલુકાના ઈસરા અને તલંગણા વચ્ચે આવેલ ભાદર નદી ઉપર બનાવેલ ભદ્રેશ્વર ચેક ડેમ તૂટી જતા ગાધા, ઈસરા, તલંગણા, સમઢીયાળા, ઉપલેટા સહિતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભદ્રેશ્વર ચેક ડેમ મોટો ડેમ હોય અને ઉનાળામાં ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વનો ડેમ તૂટી જતા ખેડૂતો, ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ સહિતના લોકોએ ખાણ ખનીજ માફિયા રેતી ખનન કરતા હોય જેને કારણે ચેક ડેમ તૂટી ગયો ના આક્ષેપ કર્યા હતા.
ઉપલેટા નગરપાલિકા ભાજપ પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયાના જણાવ્યા અનુસાર 2005 માં લોક ભાગીદારીથી રૂૂ. 95 લાખના ખર્ચે ખેડૂતોની મહેનતથી ચેક ડેમ બનાવેલ પરંતુ ખનીજ માફિયા દ્વારા 30 ફૂટ સુધી રેતી ખનન કરેલ હોય જેને કારણે ચેક ડેમ તૂટી ગયો. અગાઉ પણ ભાદર નદી ઉપર આવેલ આગળ ચેક ડેમ આવી રીતે જ રેતી માફીયાઓને લઈને તૂટી ગયો હતો. ભાદર 2 ડેમ થી ઉપલેટા સુધીના તમામ ચેક ડેમ નબળા હોય ત્યારે ઈસરા ગામ પાસે આવેલ ભદ્રેશ્વર ચેક ડેમ તૂટી ગયો હતો.
અગાઉ પૂર્વ પ્રમુખ હાઈકોર્ટમાં પણ ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે પરંતુ આજદિન સુધી ખનીજ માફિયાઓ કે સિંચાઈ વિભાગ વિરુદ્ધ કોઈજ પગલાં ન લેવાતા ગઈકાલે ભદ્રેશ્વર ચેક ડેમ તૂટી જતા ડેમનું પાણી દરિયા બાજુ વહી રહ્યું છે ત્યારે ખેડૂત ખેતર અને પાણી સાયકલ કહેવાય. એક બીજા વગર ચાલે નહીં પરંતુ ચેક ડેમ તૂટી જતા ભર ઉનાળામાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી શકે છે ત્યારે હવે હાઈકોર્ટમાં ફરીવાર મારે ફરિયાદ કરવી પડશે તેમ દાનભાઈ ચંદ્રવાડીયા પૂર્વ પ્રમુખે જણાવેલ હતું.પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના જણાવ્યા અનુસાર અવાર નવાર સ્થાનિક ખેડૂતોએ ખાણ ખનીજ વિભાગને રેતી માફિયાઓ બેફામ બન્યા હોય, ચેક ડેમમાંથી નીચે સુધી રેતી ખનન કરેલ હોય, વગર ચોમાસે પારો તૂટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સાંસદ, ધારાસભ્ય સહિતના ભાજપ દ્વારા ખનીજ માફિયાઓ સાથે જોડાયેલ હોય કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે ચેક ડેમ તૂટી જતા કાળઝાળ ઉનાળામાં ખેડૂતો માટેનો મહત્વ ધરાવતો ચેક ડેમ તૂટી જતા હજારો હેક્ટરમાં પીયત માટેનું પાણી દરિયામાં વહી જશે ત્યારે ખેડૂતને ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડશે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક આ ચેક ડેમનો પારો રીપેરીંગ કરાવે અને ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહીની માંગ ખેડૂતોએ કરી હતી.
