ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર બુધવારે સાંજે મધમાખીના ઝુંડે રાહદારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત દસ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ અચાનક બનેલી ઘટનાને કારણે હળવદ રોડ પર થોડા સમય માટે ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ લોકોને સાવચેતી રાખવા અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરી છે. મધમાખીના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં મુન્નાભાઈ ગરીયા, કુસુમબેન હબીબભાઈ, જગદીશભાઈ ગઢવી, ગોવિંદભાઈ ગાંડાભાઈ, અવિનાશભાઈ સુરમલભાઈ, દિવ્યાબેન લલિતભાઈ, બેનઝીર ઇમરાનભાઇ મીરા, પૂજાબેન રાજુભાઈ અને રાહુલભાઈ રાજુભાઈ પ્રભુભાઈ મેવાડાનો સમાવેશ થાય છે.
