જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલોની શેરી નંબર પાંચમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની 30 વર્ષની પરણીતા ગઈકાલે પોતાના ઘેરથી પોતાના ચાર વર્ષના પુત્ર ધાર્મિકને સાથે રાખીને એકાએક ક્યાંક ચાલી ગઈ હતી. જેથી પરિવારજનો દ્વારા તેના સગા સંબંધી સહિત અનેક સ્થળોએ તપાસ કરાવાઈ હતી, પરંતુ મનિષાબેન ના કોઈ પતો સાંપડ્યો ન હતો, જેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી, અને મનીષાબેનના પતિ સુરેશભાઈ ખીમસુરીયા એ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત જામનગરમાં તિરુપતિ સોસાયટી, પુષ્પક પાર્ક શેરી નંબર -2 માં રહેતા અને જામનગરની આઈસીઆઈસીઆઈ બેંક નોકરી કરતા નિતેશકુમાર કાંતિલાલ પટેલ કે જે ગઈકાલે પોતાના ઘેરથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા પછી આજ સુધી તેનો કોઈ પતો સાંપડ્યો નથી, તેથી આખરે ગુમ થયાની પરિવારજનો દ્વારા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે.
ગુમ થવાનો ત્રીજા કિસ્સો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં બન્યો હતો. જ્યાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રકાશ અરશીભાઈ સોલંકી પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો હતો, અને બે દિવસની શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો નહીં સાંપડતાંઝ આખરે કાલાવડ પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે.
