સૌરાષ્ટ્ર
ઓનર કિલિંગનો પ્રયાસ: કાઠી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર યુવક પર ખૂની હુમલો
સૌરાષ્ટ્રમાં ઓનર કિલિંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે નવ માસ પહેલા કાઠી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર પ્રજાપતિ યુવકના ઘરે સમાધાનના બહાને આવી યુવતીના પરિવારજનોએ એક કલાક સુધી માથાકુટ કરી દીકરી અમને સોંપી દે તેમ કહી ચારથી પાંચ શખ્સોએ યુવક પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી બળજબરીતી તેની નજર સામે જ તેની પત્નીને ઉપાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં જામનગર રોડ પર આવેલ મનહરપુર-1માં રહેતા અને ફર્નિચરનું કામ કરતાં પિયુષ યોગેશભાઈ કોરીયા (ઉ.27) નામના પ્રજાપતિ યુવકે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ નજીક ગૌરીદડ ગામે રહેતા રવુભા ધાંધલ, તેમના પત્ની રમજુબેન રવુભા ધાંધલ, પુત્ર રાજવીર રવુભા ધાંધલ, ઓમદેવસિંહ અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવકને એકાદ વર્ષ પહેલા ગૌરીદડ ગામે રહેતી રવુભા ધાંધલની પુત્રી રાજેશ્ર્વરી ઉર્ફે આરતી સાથે પ્રેમ સંબંધ હોય ગત તા.31/3/2023નાં બન્ને ભાગીને કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા હતાં. ત્યારથી પત્ની તેની સાથે જ સંયુકત પરિવારમાં રહેતી હતી.
ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં ફરિયાદી યુવક અને તેના માતા રમાબેન અને પત્ની રાજેશ્ર્વરી ઉર્ફે આરતી ઘરે હતા ત્યારે સાડા દસેક વાગ્યા અરસામાં સસરા રવુભા ધાંધલ અને સાસુ રમજુબેન ધાંધલ સમાધાનના બહાને ઘરે આવ્યા હતાં અને ‘મારી દીકરીને સોંપી દે’ તેમ કહી ફરિયાદી યુવક પર દબાણ કરી રહ્યાં હતાં. એક કલાક સુધી આ રકજક ચાલી હતી.
ત્યારબાદ રવુભા ધાંધલનો દિકરો રાજવીર અને તેના મિત્રો છરી સાથે ફરિયાદીના ઘરે ધસી આવી આરતીને સોંપી દેવાનું દબાણ કરી ઝઘડો કર્યા બાદ રાજવીર અને તેના મિત્રોએ પિયુષ કોરીયા પર છરી સાથે તુટી પડયા હતા અને શરીરમાં આડેધડ અડધો ડઝન જેટલા ઘા ઝીંકી દીધા હતાં. ઓચિંતા હુમલો થતાં પિયુષ ઘરની બહાર દોડી ગયો હતો. જ્યારે બીજી બાજુ આરોપીઓ તેની બળજબરીથી તેની પત્ની રાજેશ્ર્વરી ઉર્ફે આરતીને ઢસળીને પોતાની સાથે લઈ ગયા હતાં.
આ બનાવ બાદ ગંભીર રીતે ઘવાયેલ યુવકને સવારે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલીક હોસ્પિટલ પર દોડી જઈ યુવકની ફરિયાદ પરથી પૂર્વયોજીત કાવતરું રચી હત્યાનો પ્રયાસ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
પ્રજાપતિ પરિવાર પર અગાઉ બે વખત હુમલો થયો’તો
રાજકોટની નજીક ગૌરીદડ ગામે રહેતી કાઠી યુવતીના પ્રેમમાં પડેલા પ્રજાપતિ યુવકે નવ માસ પહેલા પ્રેમીકાના ભગાડી જઈ કોર્ટ મેસેજ કરી લીધા હતાં ત્યારથી યુવતીના પરિવારજનો સાથે ડખ્ખો ચાલ્યો આવતો હોય છ માસ પહેલા ફરિયાદીના માતા રમાબેન જેતપુર મકાનના ભાડા લેવા ગયા હતાં ત્યારે ફરિયાદી યુવકના સાડા રાજવીર અને તેના મિત્રોએ ફરિયાદીની માતા ઉપર જેતપુરમાં હુમલો કર્યો હતો. જે અંગે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ચાર માસ પહેલા રામાપીર ચોકડી પાસે ફરિયાદીના મોટાભાઈ મયુર કોરીયા પર પ્રેમીકાના પરિવારજનોએ હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા હતાં. જે બનાવ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાત
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો રઝળ્યા
રફાળેશ્ર્વર-મકનસર વચ્ચે અચાનક ડેમુ ટ્રેન બંધ પડી ગઇ, વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામા ન આવતા મુસાફરોમાં રોષ
આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.
બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.
કચ્છ
રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી
ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર
કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.
કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.
રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.
ગુજરાત
પુત્રના મૃત્યુના કલાકોમાં જ માતાનું હૃદય બેસી ગયું
જામનગરમાં બીમાર પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા અરેરાટી મચી ગઈ છે. 24 કલાકમાં જ માતા-પુત્રના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી વિગતો મુજબ ડો. બક્ષીના દવાખાના પાસે રહેતા સાવન વસંતભાઇ કનખરા એકાદ વર્ષથી પેરાલીસિસ એટેક બાદ તેઓ પથારીવસ હતા. જેનુ ગઇકાલે નિધન થયું હતું. યુવાને ગઈકાલે આખરી શ્વાસ લીધા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
મૃતક યુવાનની અંતિમવિધિમાં જોડાયા હતા. ભારે રોકકળ વચ્ચે અંતિમક્રિયા કરાયાના ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના માતા ભાનુબેન વસંતભાઇ કનખરાને હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મોતના આઘાતમાં માતાનું હદય થંભી જતાં તેનું પણ કમકમાટીભર્યું મોત થયું હતું.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ