અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને મળવાનો માગ્યો સમય

સ્થાનિક સ્વરાજ્યની (પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણીઓ પહેલા રાજ્યનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે…

સ્થાનિક સ્વરાજ્યની (પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણીઓ પહેલા રાજ્યનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક અત્યંત ગંભીર પત્ર લખીને સનસનાટી મચાવી દીધી છે.
આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર ’આપ’ના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને લોકશાહીનું ગળું દબાવી રહી છે. આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સાથે રાખીને રૂૂબરૂૂ મુલાકાત કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો સમય પણ માંગ્યો છે.

અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે, છેલ્લા 48 કલાકમાં ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની કરવામાં આવેલી ધરપકડ પાછળ એક નિશ્ચિત પેટર્ન જોવા મળી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે, “પક્ષના કાર્યકરો જ્યારે રસ્તા પર જતા હોય ત્યારે અચાનક કેટલાક ગુંડાઓ દ્વારા તેમનો પીછો કરીને હુમલો અથવા ઝઘડો કરવામાં આવે છે.

ત્યારબાદ આ જ ગુંડાઓ પોલીસને જાણ કરે છે અને ગણતરીની મિનિટોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી જાય છે અને અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરી લે છે. એવું લાગે છે કે ક્રાઈમ બ્રાન્ચવાળા તે ગુંડાઓના ફોનની જ રાહ જોઈને જ તે વિસ્તારમાં બેઠાં હોય. ક્રાઈમ બ્રાન્ચવાળા કોઈ પૂછપરછ કર્યા વગર એક તરફી કાર્યવાહી કરીને હુમલો કરનાર ગુંડાઓને છોડી મૂકે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ હવાલે કરે છે, જેઓ તેમની સામે 307 (હત્યાનો પ્રયાસ) જેવી કલમો લગાવીને જેમને જેલમાં ધકેલી દે છે.” પત્રમાં ખંભાળિયા, પોરબંદર અને જામનગરના કિસ્સાઓનો ઉલ્લેખ કરીને આ સમગ્ર પ્રક્રિયાને ’અગાઉથી પ્લાન કરેલું ષડયંત્ર’ ગણાવ્યું છે.

પત્રમાં કરવામાં આવેલા દાવા મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 160થી વધુ કાર્યકરોની ધરપકડ થઈ ચૂકી છે. અરવિંદ કેજરીવાલે પત્રમાં ભય વ્યક્ત કર્યો છે કે, આગામી દિવસોમાં વધુ 10,000 કાર્યકરોને જેલમાં ધકેલવાની યોજના બનાવવામાં આવી છે. તેમનું કહેવું છે કે ભાજપ સરકાર ’આપ’ના સંગઠનને તોડવા માંગે છે જેથી ચૂંટણીમાં વિપક્ષનો કોઈ મજબૂત ઉમેદવાર મેદાનમાં ન ઉતરી શકે. પરંતુ હવે જનતાને એક પ્રમાણિક અને ભણેલા-ગણેલા લોકોનો વિકલ્પ મળ્યો છે, જેનાથી ભાજપ ફફડી ઉઠ્યું છે.

પત્રના અંતે, કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે વહેલી તકે મળવાનો સમય માંગ્યો છે. આ મુલાકાતમાં તેઓ પક્ષના કાર્યકરો પર થઈ રહેલા કથિત અત્યાચાર અને ગેરકાયદેસર ધરપકડના પુરાવાઓ રજૂ કરી શકે છે. હાલમાં આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી કાર્યાલય આ પત્રનો શું જવાબ આપે છે અને આ મુલાકાત ક્યારે યોજાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *