તાલાલા શહેરના નરસિંહ ટેકરી વિસ્તારમાં ટાઉન પોલીસ ચોકી પાસે એક મુસ્લિમ પરિવાર પર મધરાતે હુમલો થયો હતો. કારમાં આવેલા સાત લોકોએ લાકડાના ધોકા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
ઘાયલોને તાત્કાલિક તાલાલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હુમલાની જાણ થતાં તાલાલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
તાલાલા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ હુમલા પાછળ પારિવારિક વિવાદ કારણભૂત છે. ફરિયાદી શાહરુખભાઈ ઈસ્માઈલભાઈ ભટ્ટીએ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીની બહેનના લગ્ન આરોપી નંબર 2ના ભાઈ સાથે થયા હતા. બાદમાં ફરિયાદીની બહેનને અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ થતાં તેણે મૈત્રી કરાર કર્યા હતા. જોકે, પાછળથી પોતાની ભૂલ સમજાતા તે રાજીખુશીથી ફરિયાદીના ઘરે પરત આવી હતી.
આરોપી નંબર 2ના ભાઈ ફરિયાદીની બહેનને ફરીથી અપનાવવા માંગતા હતા, જે આરોપી નંબર 2ને પસંદ ન હતું. આથી, આરોપી નંબર 2એ ફરિયાદીને ફોન કરીને ગાળો આપી અને માર મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ, આરોપી નંબર 1 થી 7એ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ઘડી ફરિયાદીના ઘરે આવીને ફરિયાદી તથા સાક્ષીઓને ગાળો ભાંડી લાકડીના ધોકા વડે માર માર્યો હતો.
આ હુમલામાં ફરિયાદી અને સાક્ષીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેક્ટર ગીર સોમનાથના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
પોલીસે અનવર ઈસ્માઈલભાઈ મુલ્તાની, સિકંદર અકબરભાઈ મુલ્તાની, મોઈન અલ્લાઉદીન મુલ્તાની, હબીબ ઈસાભાઈ મુલ્તાની, આમીન દોસ્તમહમંદ મુલ્તાની, મહબુબ અકબરભાઈ મુલ્તાની અને સોહીલ સત્તારભાઈ મુલ્તાની વિરુદ્ધ ઇગજની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાલાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઙઈં એ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જમાદાર માનસીભાઈ જાદવ અને પોલીસકર્મી રજનીભાઈ મોરી સહિતનો સ્ટાફ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
