સાંજે દેખાયા રાતે અદ્દશ્ય; પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ એકાઉન્ટસ ફરી બંધ

  ઓપરેશન સિંદૂર પછી ભારતની ટીકા કરવા બદલ પ્રતિબંધ મૂકાયો હતો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે.…

 

ઓપરેશન સિંદૂર પછી ભારતની ટીકા કરવા બદલ પ્રતિબંધ મૂકાયો હતો

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. ભારતે પાડોશી દેશ સામે અનેક પગલાં લીધા છે. તેમાં પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવા જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે. જોકે બુધવારે તેમના એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવ્યા હતા, પરંતુ એક દિવસ પછી તેમને ફરી એકવાર બ્લોક કરવામાં આવ્યા છે. ગુરુવાર સવારથી, શાહિદ આફ્રિદી, માવરા હોકેન, યુમના ઝૈદી, હાનિયા આમિર અને ફવાદ ખાન જેવા લોકપ્રિય સ્ટાર્સના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ ભારતીય વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

બુધવારે, આ સ્ટાર્સના એકાઉન્ટ થોડા કલાકો માટે ભારતમાં ફરીથી દેખાતા હતા, જેનાથી એવું લાગતું હતું કે કદાચ સોશિયલ મીડિયા પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ ગુરુવારે સવાર સુધીમાં, ભારતીય વપરાશકર્તાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ જોવાનું શરૂૂ કર્યું જેમાં લખ્યું હતું, આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. આનું કારણ એ છે કે અમે આ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની કાનૂની વિનંતીનું પાલન કર્યું છે.
સરકાર તરફથી પ્રતિબંધ હટાવવા કે ફરીથી લાદવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આવી સ્થિતિમાં, આ પગલું કાયમી છે કે કામચલાઉ તે સ્પષ્ટ નથી. પાકિસ્તાની સેલિબ્રિટીઓ સામે આ પ્રતિબંધ ભારતના લશ્કરી ઓપરેશન ઓપરેશન સિંદૂર પછી લાદવામાં આવ્યો હતો.

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર આતંકવાદીઓ સામે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંની ટીકા કરી હતી, જેના પછી ભારતીય વપરાશકર્તાઓ માટે તેમના એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *