નવસારી જિલ્લાના વાંસદા ખાતે આયોજિત એક ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પોતાની જ પાર્ટી સામે બળવાખોર તેવર બતાવતા રાજકીય ભૂકંપ સર્જ્યો છે. અનંત પટેલે જાહેરમાં ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી સમાજ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય કરવામાં આવશે, તો તેઓ પક્ષ છોડતા જરાય ખચકાશે નહીં.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક સમયથી તેઓ આમ આદમી પાર્ટી માં જોડાશે તેવી અટકળો તેજ બની છે. સમાજના હિત માટે સત્તાનો ત્યાગ કરવાની તેમની આ પરોક્ષ ચીમકીએ ગુજરાતના રાજકીય સમીકરણોને ગરમાવી દીધા છે. વાંસદામાં વિશાળ જનમેદનીને સંબોધતા ધારાસભ્ય અનંત પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો જન્મ આદિવાસી સમાજમાં થયો છે અને તેઓ આજીવન આદિવાસી તરીકે જ સંઘર્ષ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમને સત્તા કે પદની કોઈ લાલચ નથી, પરંતુ તેમનું પ્રાથમિક લક્ષ્ય સમાજને ન્યાય અપાવવાનું છે. અનંત પટેલે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ આજીવન અન્યાય સામે લડતા આવ્યા છે અને જો સમાજની સેવામાં પક્ષ અવરોધ બનશે, તો તેઓ સમાજની પડખે રહીને પક્ષનો ત્યાગ કરવા તૈયાર છે.
આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેમના માટે પક્ષ કરતા સમાજનું હિત સર્વોપરી છે. પોતાના વક્તવ્યમાં અનંત પટેલે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે ચાર પાયાના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, મહિલાઓને સુરક્ષિત વાતાવરણ અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ ઉપરાંત, સ્થાનિક યુવાનોને રોજગારી માટે સ્થળાંતર ન કરવું પડે તે માટે સ્થાનિક સ્તરે જ તકો ઉભી કરવી તે તેમનું મુખ્ય લક્ષ્ય છે. આ ચાર મુદ્દાઓ પર જનતાનું સમર્થન મેળવી તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ વધાર્યું છે.
