30થી વધુ સશસ્ત્ર તોફાનીઓના ઘેરાવામાંથી સાથીદારોએ તેમને માંડ ઉગાર્યા
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જીદનો શિલાન્યાસ કરનારા હુમાયુ કબીર પર અચાનક હુમલો થતા રાજકારણ ગરમાયું છે. હુમાયુ કબીર પોતાના સુરક્ષાકર્મીઓ તથા સાથીદારો સાથે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે એકાએક 30થી વધુ તોફાની તત્વોએ તેમના કાફલાને ઘેરી લીધો હતો અને બેફામ સુત્રોચ્ચાર શરૂ કર્યો હતો. સાથીદારોએ ભારે જહેમતથી હુમાયુ કબીરને આ હુમલાખોરો વચ્ચેથી માંડ માંડ બહાર કાઢયા હતા. પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના સ્થાપક તરીકે ઓળખાતા હુમાયુ કબીરે સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થા અંગે ટીકા કરી હતી તથા હુમલાખોરોને શોધીને એની સામે પગલા લેવા તૃણમુલ સરકારને અપીલ કરી હતી.
હુમાયુ કબીરના ટેકેદારોએ ગઇકાલે કલકતાના પોલીસ વડામથકે સામુહિક કુચ કરીને સશસ્ત્ર હુમલાખોરોને પકડવા માટે રજુઆત અને સુત્રોચાર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, હુમાયુ કબીર જ્યારે પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક 25 થી 30 અજાણ્યા ગુંડાઓએ તેમના વાહનને રોકી લીધું હતું. આ ગુંડાઓએ માત્ર હુમલો જ નહોતો કર્યો, પરંતુ તેમને ચારે બાજુથી ઘેરી લઈને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ હુમલો એટલો અચાનક હતો કે સુરક્ષાકર્મીઓને પણ સ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી.
ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, હુમલાખોરો હથિયારો સાથે સજ્જ હતા અને તેઓ હુમાયુ કબીરને નિશાન બનાવીને જ આવ્યા હોય તેવું જણાતું હતું. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈની ધરપકડના સમાચાર મળ્યા નથી.
