પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. ખાડી દેશમાં ચાલી રહેલા આ સૈન્ય ટકરાવના કારણે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી 6 મેચની વાઈટ-બોલ સીરિઝને ટાળવી પડી છે.આ સીરિઝનું આયોજન યુએઇમાં કરવામાં આવ્યું હતુ પરંતુ તણાવપૂર્ણ હાલતને લઈ અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સાથે મળી તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યું છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, વનડે અને ટી20 સીરિઝ હાલમાં સ્થગિત કરવામાં આવી છે. બોર્ડે પશ્ચિમ એશિયાની હાલતને આનું કારણ જણાવ્યું છે. આ સાથે કહ્યું કે, ફ્લાઈટથી લઈ લોજિસ્ટિક્સ સુધી તેમજ અન્ય પરેશાનીઓ પણ આનું કારણ છે. આ સીરિઝ 13 માર્ચ થી 25 માર્ચ વચ્ચે રમાશે. જેમાં 3 વનડે અને 3 ટી20 મેચ સામેલ હતી.અફઘાનિસ્તાન ક્રિકેટબોર્ડે આ માટે સ્કવોડની પણ જાહેરાત કરી દીધી છે.
જેમાં ઈબ્રાહિમ જાદરાનને નવા ટી20 કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે.બંન્ને ક્રિકેટ બોર્ડ સાથે મળી આ સીરિઝને શ્રીલંકામાં આયોજિત કરવાના વિકલ્પ પર વિચાર કર્યો પરંતુ આ માટે પણ યુએઇથી શ્રીલંકા સુધીની ફ્લાઇટ્સ હાલમાં ઉપલબ્ધ નથી, જેના કારણે આ વિકલ્પ અપનાવી શકાયો નથી. જોકે સીરિઝ રદ કરવામાં આવી નથી, તે ક્યારે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી. જોકે,બોર્ડને આશા છે કે તે આ વર્ષના અંતમાં યોજાઈ શકશે.
