અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસમાં એક મહત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે. અદાણી પરિવારે અમેરિકન શેરબજાર નિયામક SEC (Securities and Exchange Commission)ની નોટિસ સ્વીકારવા સંમતિ દર્શાવી છે, જેનાથી આ કેસમાં હવે કાનૂની કાર્યવાહી આગળ વધશે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ના રોકાણકારોને લાંચ (Bribery Scheme) બાબતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ સિવાય ન્યૂયોર્કના ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતમાં સોલર કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયનની લાંચ આપવાના કાવતરાના પણ આરોપ લગાવ્યા છે.
છેલ્લા એક વર્ષથી આ કેસ અટકેલો હતો કારણ કે બંને અદાણી ભારતમાં હતા અને તેમને કાનૂની નોટિસ બજાવી શકાતી નહોતી. SECએ તાજેતરમાં જ કોર્ટ પાસે વૈકલ્પિક રીતે એટલે કે ઈમેલ દ્વારા નોટિસ મોકલવાની પરવાનગી માંગી હતી. જોકે, હવે અદાણીના યુએસ સ્થિત વકીલોએ જાતે જ નોટિસ સ્વીકારવાની તૈયારી બતાવી છે, જેથી જજ દ્વારા સમન્સ બજાવવાની પદ્ધતિ પર ચુકાદો આપવાની જરૂૂર રહેશે નહીં.
ગૌતમ અદાણીએ તેમના બચાવ માટે વોલ સ્ટ્રીટના પ્રખ્યાત વકીલ રોબર્ટ જિયુફ્રા જુનિયરને હાયર કર્યા છે, જેઓ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પણ વકીલ રહી ચૂક્યા છે. જિયુફ્રાએ કોર્ટને જણાવ્યું કે તેઓ નોટિસ સ્વીકારવા સંમત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ન્યૂયોર્ક કોર્ટના ન્યાયક્ષેત્ર (Jurisdiction) ને સ્વીકારે છે.
અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અૠઊક એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક પ્રક્રિયાગત પગલું છે. કંપનીએ ફરીથી ભારપૂર્વક કહ્યું છે કે ગૌતમ અને સાગર અદાણી પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ લાંચ કે ભ્રષ્ટાચારના કોઈ ફોજદારી આરોપો નથી, આ કાર્યવાહી માત્ર સિવિલ પ્રકૃતિની છે.
