મૂળી-થાન રોડ પર બુધવારે બપોરે એક ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયા છે. ખાખરાળા બસ સ્ટેન્ડ નજીક રસ્તા પર અચાનક ખુંટીયો આડો આવતા બાઇક અને રીક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. મૃતકોમાં રૂૂપાવટી ગામના કાળુભાઈ લાબરીયા (ઉ.વ. 55) અને ભાવુબેન લાબરીયા (ઉ.વ. 25) નો સમાવેશ થાય છે.
રાજકોટના બંધીયા ગામના મગનભાઈ બચુભાઈ પરમાર પોતાનું બાઇક લઈને વગડીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ખાખરાળા બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર અચાનક એક ખુંટીયો આવી ગયો હતો. ખુંટીયાને બચાવવા જતા મગનભાઈએ બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતા તેમનું બાઇક સામેથી આવતી એક રીક્ષા સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક અને રીક્ષા બંને રોડ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર કાળુભાઈ ઇન્દુભાઈ લાબરીયા અને ભાવુબેન લાખાભાઈ લાબરીયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક થાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. જોકે, સારવાર દરમિયાન કાળુભાઈ અને ભાવુબેન બંનેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્માતને પગલે મૂળી-થાન રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
