હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પદયાત્રિકોનું સંઘ દ્વારકા જવા નિકળ્યો હોય ત્યારે છ દિવસ પૂર્વે સુંદરગઢથી પાંચ કિલોમીટર દૂર દેવીપુર પાસે ટેન્કર હડફેટે પદયાત્રા કરવા નિકળેલા યુવાનને અકસ્માત નડ્યો હતો. તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેનું મોત થતાં ભરવાડ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ હળવદના સુંદરગઢ ગામે રહેતા અને ડ્રાઈવીંગ કરતા મુન્નાભાઈ કરણભાઈ ગૌતર નામના 36 વર્ષીય ભરવાડ યુવાન ગત તા. 23ના રોજ તેના ગામ સુંદરગઢથી પગપાળા દ્વારકા જવા નિકળ્યો હતો. 35 લોકોનો આ સંઘ દેવીપૂર પાસે પહોંચ્યો ત્યારે ટેન્કર ચાલકે મુન્નાને અડફેટે લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું. મૃતક મુન્નાભાઈ ચાર ભાઈ અને પાંચ બહેનમાં વચેટ હતાં. અને તેને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે. પદયાત્રી સંઘ સાથે દ્વારકા જવા નિકળેલા યુવાનનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
