શહેરના મોચીબજાર વિસ્તારમાં ચાની હોટલ ધરાવતાં અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા શિવનગરમાં રહેતાં કાળુભાઈ મચ્છાભાઈ સિંધવ (ઉ.42) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે છતના હુંકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કાળુભાઈ ચાર ભાઈમાં વચેટ અને મોચી બજારમાં નકલંક ટી સ્ટોલ નામે ચાની હોટલ ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં મુળ બિહારના વતની અને હાલ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં રહેતાં ગોવિંદા કાશીભાઈ પાસ્વાન (ઉ.23) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક રાજકોટમાં એકલો રહી મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
