શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતાં યુવાને મણકાની બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ગંજીવાડા વિસ્તારમાં રહેતાં રામજીભાઈ દેહાભાઈ સોરાણી નામનાં 43 વર્ષના યુવાને મણકાની બિમારીથી કંટાળી પોતાના ઘરે વહેલી સવારે લાકડાના આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. યુવાને મણકાની બિમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી મેનાબેન મનસુખભાઈ મકવાણા (ઉ.42)એ પોતાના ઘરે અને આજી ડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહેતી મીનાબેન પ્રવિણભાઈ હરણ (ઉ.30) સત્યમ પાર્કમાં તેના બનેવી જેન્તીભાઈના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. બન્ને પરિણીતાની ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
