બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી: પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી
કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે વઘાસિયા પરિવારના આસ્થાના કેન્દ્ર સમાન શૂરાપુરા દાદાની જગ્યામાં એક કરુણ ઘટના બની છે. રાજકોટમાં રહેતા અને મૂળ અરડોઈના વઘાસિયા પરિવારના 40 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
રાજકોટના હરીધવા રોડ પર રહેતા અને મૂળ કોટડાસાંગાણીના વતની પ્રકાશભાઈ બાબુભાઈ વઘાસિયા (ઉંમર વર્ષ 40) અરડોઈ ગામે આવેલા તેમના શૂરાપુરા ગોપાલબાપાની જગ્યાએ દર્શન કરવા આવ્યા હતા.
અહીં દર્શન કરવા આવ્યા બાદ, તેમણે આ જ પવિત્ર જગ્યા પાસે આવેલા ઉંબરાના ઝાડની ડાળી પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પ્રકાશભાઈના 14 વર્ષની પુત્રી અને 8 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાના આ આકસ્મિક નિધનથી બાળકો અને પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતકની બોડીને તાત્કાલિક કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પ્રકાશભાઈએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે કોટડાસાંગાણી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
