શહેરમાં પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટર નજીક રહેતા અને મીણા પુરવાનું કામ કરતાં પ્રોઢે નાના ભાઈની કેન્સરની બીમારી જોઈ ફાકી મૂકી દીધા બાદ પોતાને પણ કેન્સર થશે તેવી દહેશતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટર નજીક રહેતા અને મીણા પુરવાનું કામ કરતાં જીતેશભાઈ ઘનશ્યામભાઈ ઝીજુવાડીયા (ઉ.વ.44)એ પોતાના ઘરે લોખંડના એંગલમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. 108ના તબીબે મૃત જાહેર કર્યો હતો. બી-ડિવીઝનના એએસઆઈ જયપાલસિંહ ઝાલાએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જીતેશભાઈના નાનાભાઈને ફાકી ખાવાને કારણે કેન્સર થઈ ગયું હતું. જેને કારણે તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.
તે વખતે હોસ્પિટલમાં જીતેશભાઈ રોકાયા હતા. ભાઈની હાલત જોઈને તેણે ત્યાં જ ફાકી છોડી દેવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી તેને સતત પોતાને પણ કેન્સર થશે તેવો ભય સતાવતો હતો. જેને કારણે આખરે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મૃતક પ્રૌઢ ચાર ભાઈમાં બીજા વચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેણે ભરી લીધેલા પગલાથી પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
